Bhavnagar: અધિકારીઓની મનમાનીથી ત્રસ્ત બનેલા મનપાના પ્રતિનિધિઓએ સામાન્ય સભામાં જ અધિકારીઓને ટોકવા પડ્યા

|

Oct 25, 2022 | 6:56 PM

Bhavnagar: અધિકારીઓ મનમાની કરવા લાગે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો પરેશાન થાય, પરંતુ જનતાને પણ પરેશાની વેઠવાનો વારો આવે. અધિકારીઓ અને પ્રતિનિધિઓનો મનમેળ ન હોય તો જનતાને પણ ભોગવવુ પડે છે. આવુ જ કંઈક ભાવનગરમાં જોવા મળે છે.

કોઈ કામ પાર પાડવા માટે રાજકીય ઈચ્છાશક્તિની સાથો સાથ વહિવટી તંત્રની કુશળતા અને પ્રતિનિધિઓ સાથેનો તેમનો મનમેળ એટલો જ જરૂરી છે. જ્યારે આ બેલેન્સ  ખોરવાય ત્યારે તેનો ભોગ જનતા બને છે. તેનું તાજુ ઉદાહરણ જોવા મળ્યું ભાવનગર (Bhavnagar)માં. જ્યાં અધિકારીઓની મનમાનીથી  પ્રતિનિધિઓ પરેશાન થઈ ગયા અને આખરે સામાન્ય સભામાં જ અધિકારીઓને ટોકવા પડ્યા. જોકે આ બધા વચ્ચે અધુરા વિકાસકાર્યોના કારણે જનતા પણ  ત્રસ્ત છે.

કોઈપણ મહાનગરપાલિકા (Municipal Corporation)માં વહીવટી તંત્ર ત્યારે જ સુદ્રઢ રીતે ચાલી શકે, જ્યારે પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે મનમેળ હોય. પરંતુ ભાવનગર મહાનગર પાલિકામાં કંઈક જૂદા જ દૃશ્યો જોવા મળે છે. જ્યાં પ્રતિનિધિઓ સામાન્ય સભામાં (General Meeting) જ અધિકારીઓને આડકતરો ઠપકો આપી રહ્યા છે. જેના કારણે અનેક વિકાસના કામો પણ અટકી પડે છે.

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. જિલ્લામાં અનેક વિકાસના કામોને બ્રેક લાગી ગઈ છે. રોડ રસ્તાની હાલત ખરાબ છે, આંગણવાડીઓની અનેક ફરિયાદો છે. ગ્રામ પંચાયતોમાં પણ સુવિધાને લગતી અનેક ફરિયાદો છે. હેલ્થ વિભાગ દવાખાનાઓને લઈને ગામડામાં અનેક ફરિયાદો આવે છે. પાલિકાના પ્રતિનિધિઓ અધિકારીઓ પાસે કોઈપણ માહિતી માગે તો હાલના અધિકારીઓ ગાંઠતા ન હોય તેવી ચર્ચાઓ છે. સાધારણ સભામાં જ ભાજપના સભ્યોને અધિકારીઓ માહિતી ન આપતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકારની ફરિયાદો સામે આવતા પંચાયત પ્રમુખે અધિકારીઓનો ઉધડો લીધો હતો.

આ તરફ વિરોધ પક્ષના નેતા પણ આરોપ લગાવી રહ્યા છે કે ભાજપના શાસકોને કોઈ ગાંઠતુ નથી. વિપક્ષનો આરોપ છે કે અધિકારીરાજ અને શાસક પક્ષની અણઆવડતના કારણે જનતાના કામોને બ્રેક લાગી શકે છે. વિપક્ષ ત્યાં સુધી આરોપ લગાવી રહ્યો છે કે અમારા આરોપો જો ખોટા હોય તો પછી સામાન્ય સભામાં પ્રતિનિધિઓએ અધિકારીઓને શા માટે કડક સૂચના આપવાની જરૂરત ઉભી થાય.

ઈનપુટ ક્રેડિટ- અજિત ગઢવી- ભાવનગર

Next Video