Banaskantha: અસદુદ્દીન ઓવૈસીએ કોમન સિવિલ કોડ ઉપર કર્યાં આકરા પ્રહાર
ઓવૈસીએ કહ્યું હતું કે, "સિવિલ કોડને લઈ ગુજરાત સરકાર પ્રજા સામે જૂઠું બોલે છે, ભાજપ હિન્દુત્વના એજન્ડા રાખી અને વોટની રાજનીતિ કરે છે, યુનિફોર્મ સીવિલ કોડનો નિર્ણય કેન્દ્ર સરકાર જ લઈ શકે છે
બનાસકાંઠાના વડગામમાં અસદુદ્દીન ઓવૈસીએ સભાને સંબોધી હતી અને આ સભામાં તેમણે યુનિફોર્મ સિવિલ કોડને લઈને પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે, “સિવિલ કોડને લઈ ગુજરાત સરકાર પ્રજા સામે જૂઠું બોલે છે, ભાજપ હિન્દુત્વના એજન્ડા રાખી અને વોટની રાજનીતિ કરે છે, યુનિફોર્મ સીવિલ કોડનો નિર્ણય કેન્દ્ર સરકાર જ લઈ શકે છે, રાજ્ય સરકારને તેનો અધિકાર નથી, રાજ્ય સરકારની કમિટિ બનાવવાની વાત માત્ર જૂઠાણું છે. તેમણે કહ્યું હતું કે ભાજપ હિન્દુત્વના એજન્ડા રાખીને વોટની રાજનીતિ કરે છે.
ગુજરાતમાં ચૂંટણી પહેલા ગત રોજ વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળી. જેમાં મહત્વના નિર્ણય અંતર્ગત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. તેમજ યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા કમિટીની રચના કરાઇ છે. આ સમિતિનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે. અગાઉ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરકારોએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના તેમના નિર્ણયની જાહેરાત કરી હતી.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.
પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નીતિ બનાવશે
કેન્દ્રએ આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે સંસદને દેશમાં સમાન નાગરિક સંહિતા પર કોઈ કાયદો ઘડવા અથવા લાગુ કરવા માટે નિર્દેશ આપી શકે નહીં. કાયદા અને ન્યાય મંત્રાલયે તેના સોગંદનામામાં કહ્યું છે કે નીતિનો મામલો લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નક્કી કરવાનો છે અને આ સંદર્ભમાં કેન્દ્ર દ્વારા કોઈ નિર્દેશ જાહેર કરી શકાય નહીં. મંત્રાલયે સુપ્રીમ કોર્ટને કહ્યું કે શું વિધાનસભાએ કાયદો બનાવવાનો છે કે નહીં.
