લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીને લઈ દેશભરમાં તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ વર્ષોથી એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. જ્યાં ન તો મોબાઈલ સિગ્નલ મળે છે, કે ન કોઈ વાહનની સુવિધા છે. ગીર જંગલની મધ્યમાં કનકાઈ માતાજીના મંદિરે આ મતદાન મથક ઉભું કરવામાં આવે છે.
જ્યાં આસપાસના 7 નેસના 200થી પણ વધુ મતદારો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે છે. ચૂંટણી પંચના નિયમ મુજબ આ મતદાન મથક ઉપર તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે. નેસમાં વસતા માલધારીઓ લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે પોલિંગ સ્ટાફ મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ખડેપગે રહે છે.
મધ્ય ગીરમાં આવેલ કનકાઈ માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જેની આસપાસના વિવિધ નેસમાં માલધારીઓ પોતાના પશુધનની આજીવિકા માટે વસવાટ કરે છે. જેઓ લોકશાહીના પર્વથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વર્ષોથી આ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.
Published On - 3:01 pm, Sun, 7 April 24