વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા કોંગ્રેસ (Congress) માંથી રાજીનામુ આપ્યા બાદ વિધિવત રીતે ભાજપ (BJP)માં જોડાઈ ગયા છે. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલયે કમલમમાં પોતાના સમર્થકો સાથે હર્ષદ રિબડિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાએ રિબડિયાને ભાજપનો કેસ પહેરાવી આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યુ કે અમે જ્યારે કોંગ્રેસમાં રહીને લડતા હતા ત્યારે અમને કોઈ સાથ આપવા તૈયાર ન હતુ. તેમણે ઉમેર્યુ કે સમગ્ર દેશ જાણે છે કે કોંગ્રેસ દિશાવિહિન બની છે. રિબડિયાના આ પ્રહાર પર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરિશ ડેર (Ambrish Der) એ પલટવાર કર્યો છે તેમણે જણાવ્યુ કે જે લોકો કોંગ્રેસમાં હોય છે ત્યારે શિસ્તની અને અનુશાસનની વાતો કરતા હોય છે પરંતુ પાર્ટી છોડ્યા બાદ પાર્ટીને જ બદનામ કરવાની વાતો કરે છે.
અબરિશ ડેરે વધુમાં કહ્યુ કે આ ઘણુ હાસ્યાસ્પદ લાગે છે. પાર્ટી છોડવી હતી, એ ગયા એમા કોઈ ના ન કહી શકે પરંતુ ખોટી રીતે દોષારોપણ કરીને પાર્ટી છોડે તે વ્યાજબી નથી. તેમણે કહ્યુ હું ભાજપના કાર્યકર્તાઓને વિનંતિ કરુ છુ કે સમગ્ર ગુજરાતમાં જે વ્યક્તિએ ભાજપને ઉભી કરવા દિવસ રાત એક કર્યા એવા સ્વર્ગસ્થ વડીલ કેશુભાઈ પટેલની છાતી ઉપર જે માણસ જીતીને આવ્યા છે તેમને પણ આવકારતા તમે હર્ષની લાગણી અનુભવો છો એ અઘરી વાત છે.