Rajkot: રસ્તાની સુવિધા માટે રંજાડ, કોઠારીયામાં વિકાસના નામે કમઠાણ, જુઓ Video

|

Jun 05, 2023 | 10:20 PM

કોઠારીયામાં 3 વર્ષથી મનપામાં ભળ્યા બાદ વિકાસ થયો નથી. કોઠારીયામાં પ્રાથમિક સુવિધાનો પણ ભારે અભાવ છે. વીજળી, પાણી, રસ્તાની સુવિધા ન હોવાની ફરિયાદ ઉઠી છે.અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ ઉકેલ નથી આવ્યો.

Rajkot: રાજકોટના એક એવો વિસ્તાર જે વિકાસ ઝંખી રહ્યો છે. બિસ્માર રસ્તા, જ્યાં જુઓ ત્યાં ખાડા, આડેધડ ખોદકામ. આ તમામ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે રાજકોટના કોઠારીયાના રહીશો. થોડા વર્ષો પહેલા કોઠારીયાને રાજકોટ મનપામાં ભેળવવામાં આવ્યું હતું.

આ નિર્ણય બાદ કોઠારીયાના લોકોને નેતાઓએ હથેળીમાં વિકાસનો ચાંદ બતાવ્યો હતો અને રસ્તા, વીજળી, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ આજદીન સુધી ન તો કોઠારીયાના લોકોને સુવિધા મળી કે ન તેઓની સમસ્યાનો અંત આવ્યો. કોઠારીયાના લોકોના નસીબમાં તો માત્ર વેઠ જ હોય તેવો ઘાટ સર્જાયો છે. પાછલા 3 વર્ષથી આ વિસ્તારના લોકો રસ્તા માટે આંદોલન કરી રહ્યા છે. પરંતુ નેતાઓના પેટનું પાણી નથી હલતું.

રસ્તાનું દુઃખ, કોઠારીયાના લોકોને કેટલી હદે સતાવી રહ્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ છે મધુબેન સગપરીયા ખરાબ રસ્તાના પગલે મધુબેન વાહન પરથી પડ્યા અને તેઓના પગમાં ઈજાઓ પહોંચી. આજે તંત્રના વાંકે મધુબેન પથારીવશ છે અને મફતમાં દર્દ સાથે હજારોનો ખર્ચ કરી ચૂક્યા છે.

કહેવાય છે કે ભૂવો ધૂણે એટલે નારિયેળ પોતાના ઘર તરફ ફેંકે કોઠારીયામાં પણ કંઇક આવો જ ઘાટ સર્જાયો છે. વોર્ડનંબર 9 એટલે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વિસ્તાર જ્યાં રસ્તા પર પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. તો એક કિમીના અંતરે વોર્ડ નંબર 18નો કોઠારીયા વિસ્તાર જ્યાં રસ્તાના પણ ઠેંકાણા નથી. રસ્તાનું સુખ આ વિસ્તારના રહીશોને ક્યારે મળશે તે એક સવાલ છે.

જોકે કોઠારીયાની સમસ્યા અને ભેદભાવ મુદ્દે જ્યારે TV9ની ટીમે રાજકોટ મનપાના મેયર પ્રદિપ ડવનો સંપર્ક કર્યો. તો તેઓએ વિકાસનો દાવો કર્યો અને 20 કરોડના ખર્ચે રોડ મંજૂર થયાની વાત કરી. મેયરનો દાવો છે કે નજીકના ભવિષ્યમાં કોઠારીયાના રહીશોને રસ્તાની સુવિધા મળી જશે.

આ પણ વાંચો : પાદરાના સાઘી ગામમાં વહેલી સવારે આવેલા વાવાઝોડાથી ભારે નુકસાન, પવનને કારણે ક્વાર્ટર્સ ધરાશાયી, જુઓ Video

એક તરફ વિકાસના કામમાં ભેદભાવ અહી થઈ રહ્યા છે તો બીજી તરફ વિકાસના નામે નેતાઓની રાજનીતિ થઈ રહી હોવાના આક્ષેપો થાય છે. આ સ્થિતિમાં કોઠારીયાની ભોળી પ્રજાને વેરો ભરીને પણ હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કેમ સુવિધા આપવાના નામે રાજકોટ મનપા ઠાગાઠૈયા કરી રહ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video