અમદાવાદ(Ahmedabad)ની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને તેમના ઘરે આમંત્રણ આપીને ભોજન કરાવનાર રિક્ષા ચાલક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સભામાં જોવા મળ્યા. રિક્ષા ચાલક વિક્રમ દંતાણી PM નરેન્દ્ર મોદીની સભામાં કેસરિયા ખેસ અને કેસરી ટોપી પહેરીને પહોંચ્યા હતા. વિક્રમ દંતાણી એ જ વ્યક્તિ છે જેમણે અરવિંદ કેજરીવાલ જ્યારે અમદાવાદની મુલાકાતે હતા ત્યારે તેમણે કેજરીવાલને પોતાના ઘરે જમવાનુ આમંત્રણ આપ્યુ હતુ અને કેજરીવાલે તેમના ઘરે જઈને ભોજન પણ લીધુ હતુ. હવે વિક્રમ દંતાણી ભાજપની સભામાં જોવા મળ્યા હતા.
આ દરમિયાન TV9 સાથેની વાતચીતમાં વિક્રમ દંતાણીએ જણાવ્યુ કે તેઓ પહેલેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ ચાહક છે અને વર્ષોથી ભાજપને જ મત આપે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે હું તો પહેલાથી જ ભાજપ માટે કામ કરુ છુ. આ તરફ કેજરીવાલને તેમના ઘરે ભોજન માટે આમંત્રણ આપવા પર તેમણે જણાવ્યુ કે રિક્ષા યુનિયનના કહેવાથી એ આમંત્રણ આપ્યુ હતુ અને અતિથિને ઘરે જમાડીએ એમ જમાડ્યા હતા. આ સિવાય એમની સાથે અન્ય કોઈ વાતચીત થઈ નથી.
વિક્રમ દંતાણીએ કેજરીવાલના મફત વીજળી સહિતના વાયદા મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ‘રેવડી કલ્ચર’ કોઈ પણ કાળે ન ચાલે, તેમણે કહ્યુ વિકાસને પસંદ કરતી ગુજરાત અને દેશની પ્રજાને હાલ તો બધુ ભાજપ જ આપે છે.
Published On - 5:15 pm, Fri, 30 September 22