જયપુરથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગો (Indigo airline) ફ્લાઇટના મુસાફરોએ જયપુર એરપોર્ટ (Jaipur airport) ઉપર હોબાળો કર્યો હતો. મુસાફરોએ જણાવ્યું હતું કે ફલાઇટ ટેક ઓફ થયા બાદ એસી કામ કરતા ન હતા. આથી વૃદ્ધો તેમજ બાળકો માટે સમસ્યા સર્જાઈ હતી. જોકે ફ્લાઇટના ક્રૂ મેમ્બર દ્વારા મુસાફરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મુસાફરોએ માંગણી કરી હતી કે તેમને બીજી ફ્લાઇટમાં બેસાડવામાં આવે. આ તકલીફને કારણે હેરાન થયેલા મુસાફરોએ જયપુર એરપોર્ટ ખાતે ઇન્ડિગો હાય હાયના નારા લગાવ્યા હતા. મુસાફરોની ફરિયાદ હતી કે એસી વ્યવસ્થિત ચાલતા નહોતા છતાં તેમને એ જ ફ્લાઇટમાં અમદાવાદ પરત આવવાની ફરજ પાડવામાં આવી હતી.
નોંધનીય છે કે આ પૂર્વે ઈન્ડિગોના વિમાને 17 જૂલાઇના રોજ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ શારજાહથી હૈદરાબાદ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટને લેન્ડ કરવામાં આવી છે. ટેક્નિકલ ખામીની જાણ થતાં ક્રૂ મેમ્બર્સે એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ શારજાહથી હૈદરાબાદ જઈ રહી હતી.
ચાલુ વર્ષે મે મહિનામાં દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં મુસાફરી ન કરવા બદલ ઈન્ડિગોને DGCAએ 5 લાખનો દંડ ફટકાર્યો હતો.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઝારખંડની (Jharkhand) રાજધાની રાંચીમાં દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં બેસવા ન દેવા બદલ એરલાઈન ઈન્ડિગો (Indigo Airline) પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ કહ્યું છે કે 7 મેના રોજ રાંચી એરપોર્ટ પર અલગ-અલગ- દિવ્યાંગ બાળક સાથે ઈન્ડિગોના કર્મચારીઓનું વર્તન ખોટું હતું અને તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
આ અગાઉ, ડીજીસીએની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ઈન્ડિગોના કર્મચારીઓને નિયમોનું ઉલ્લંઘન કરતા શોધી કાઢ્યા હતા અને કંપનીને કારણ દર્શક નોટિસ ફટકારી હતી.ઈન્ડિગો પર દંડ લાદવાના નિર્ણય પર DGCAએ કહ્યું, “રાંચીમાં દિવ્યાંગ બાળકના ઉતરાણના કેસમાં તપાસ દરમિયાનના તારણો પર આધારિત, અધિકૃત પ્રતિનિધિ દ્વારા ઈન્ડિગો એરલાઈન્સને કારણ દર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને DGCAમાં સક્ષમ અધિકારીએ સંબંધિત એરક્રાફ્ટ નિયમોની જોગવાઈઓ હેઠળ એરલાઈન પર 5 લાખ રૂપિયાનો દંડ લાદવાનો નિર્ણય લીધો છે.