Ahmedabad: હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર મામલે થયેલી ફરિયાદમાં ચારેય આરોપી પોલીસ સમક્ષ હાજર થયા, રિમાન્ડ મેળવીને પોલીસ કરશે પૂછપરછ, જુઓ Video

|

May 29, 2023 | 3:43 PM

40 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા જવાબદાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આજે ચારેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનૌ સૌથી વિવાદીત અને ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજના આરોપીઓએ આખરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. બ્રિજના ભ્રષ્ટાચારી આરોપી એવા અજય ઇન્ફ્રાસ્ટક્ચરના ડાયરેક્ટર ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ, રમેશ પટેલ અને રસિક પટેલ ખોખરા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. મહત્વપૂર્ણ છે કે બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે 9 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી પોલીસ સમક્ષ હાજર થયેલા આરોપીઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનું શરણ લીધુ હતું.

હાઇકોર્ટે જામીન અરજી ફગાવતા આરોપીઓ સુપ્રીમ કોર્ટ સુધી લાંબા થયા હતા. જોકે સુપ્રીમ કોર્ટે પણ આરોપીઓના આગોતરા જામીન અરજી ફગાવી દેતા આખરે બંને આરોપીઓએ ખોખરા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો વારો આવ્યો છે. ખોખરા પોલીસે પણ ચારેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખોખરા પોલીસે હવે ચારેય આરોપીઓના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવીને ભ્રષ્ટાચારના કેસમાં વધુ તપાસ હાથ ધરશે.

પોલીસ તપાસના મુદ્દાઓ પર નજર કરીએ તો, ભ્રષ્ટાચારના ઓવરબ્રિજમાં અન્ય કોણ કોણ સામેલ છે? આરોપીઓએ હલકી ગુણવત્તાનું મટેરિયલ કેમ વાપર્યું? અધિકારીઓ સાથે આરોપીઓની કોઇ મિલિભગત છે કે કેમ? આવી વિવિધ બાબતોને લઈ પોલીસ અધિકારીનું કહેવું છે કે જરૂર જણાશે તો નિષ્ણાતોની પણ મદદ લેવાશે.

આ પણ વાંચો : અમદાવાદના રાણીપ વિસ્તારમાં વરસાદ પડતા પડ્યો ભૂવો, બાઈક ચાલક ભૂવામાં ગરકાવ

સમગ્ર પ્રકરણ એ પ્રકારનું હતું કે વર્ષ 2015માં હાટકેશ્વર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 40 કરોડના ખર્ચે 30 નવેમ્બર 2017ના રોજ બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે નબળી કામગીરી અને કૌભાંડની વ્યાપક ફરિયાદને પગલે 5 વર્ષમાં 5 વાર બ્રિજનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી. આપને જણાવી દઇએ બ્રિજનું કામ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા. પ્રા.લિ. દ્વારા કરવામાં આવ્યું હતું.

કંપની દ્વારા 50 વર્ષ સુધી બ્રિજને કઇ ન થવાનો દાવો કરાયો હતો. જોકે સતત ગાબડા પડતા આખરે 2022માં બ્રિજને સંપૂર્ણ પણે બંધ કરી દેવાયો હતો. તપાસ કરતા બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો હતો. આખરે સુરક્ષાના કારણોસર ચાલુ મહિને જ AMCએ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કર્યો હતો.

ભ્રષ્ટાચારની તપાસમાં કોર્પોરેશનના 4 સહિત 9 લોકો સામે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનું શરણ લીધું હતું. જોકે કોર્ટે પણ આગોતરા જામીન ફગાવતા આખરે આરોપીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video