Ahmedabad: મોરબી દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી SIT સામે કોંગ્રેસે સવાલો ઉઠાવીને ન્યાયિક તપાસની કરી માંગણી
આલોક શર્માએ જણાવ્યું કે મોરબીની (Morbi) ઘટના અંગે SITની રચનાની જાહેરાત તો કરી દેવાઈ છે, પરંતુ આ અંગે હજુ સત્તાવાર પરિપત્ર નથી થયો. ફક્ત ટ્વિટના માધ્યમથી SIT બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી SIT સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ સરકારે રચેલી SIT રદ્દ કરી સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માગ કરી છે. આલોક શર્માએ જણાવ્યું કે મોરબીની ઘટના અંગે SITની રચનાની જાહેરાત તો કરી દેવાઈ છે, પરંતુ આ અંગે હજુ સત્તાવાર પરિપત્ર નથી થયો. ફક્ત ટ્વિટના માધ્યમથી SIT બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આલોક શર્માએ જણાવ્યું કે SITમાં જે પાંચ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે તેઓ સરકારના જ અધિકારીઓ છે, જે મુખ્યમંત્રીના એક ફોન પર ખડેપગે હાજર થઈ જાય છે. સરકાર પોતે સવાલોમાં ઘેરાઈ છે તો પછી આ અધિકારીઓ કઈ રીતે તપાસ કરશે, આથી આ SITને ભંગ કરી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના નિવૃત જજની અધ્યક્ષતાવાળી સ્વતંત્ર SITની રચના કરવામાં આવે તેવી માગણી કોંગ્રેસે કરી છે. કોંગ્રેસ સતત મોરબીની દુર્ઘટનાને લઇને વિવિધ સવાલો ઉઠાવી રહી છે.
મોરબી દુર્ઘટના બાદ ગુજરાતમાં વિવિધ જિલ્લાના વહીવટી અને પોલીસ તંત્ર સતર્ક બન્યા છે. વિવિધ સ્થળોએ સાવચેતી રુપ પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લામાં પણ તંત્ર દ્વારા સાવચેતી માટે અનેક પગલા હાથ ધરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં આવેલા જોખમી પુલ કે દાંડી બ્રિજ જે ખૂબ જ જુના, જર્જરિત અને જોખમી હાલતમાં છે તેમને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી તે કોઈ માણસો માટે જોખમરુપ ન બને.
આ જ રીતે પ્રવાસન સ્થળો પર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ઓખા-બેટદ્વારકા વચ્ચે ચાલતી 26 બોટોને સસ્પેન્ડ કરી દેવાઈ છે. મોરબી દુર્ઘટના બાદ શીવરાજપુર બીચ, ગોમતી ઘાટ, સુદામા સેતુ સહિતના મહત્વના સ્થળો ઉપર બચાવ કામગીરી માટેના સાધનો અને તરવૈયાઓ પણ તહેનાત કરવામાં આવ્યા છે.