Ahmedabad Breaking News : લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, ગુણવત્તા સામે ફરી ઉઠ્યા સવાલ
જલારામ અંડરપાસ લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જ જર્જરિત હાલતમાં પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. અંડરપાસના બ્રિજના ઉપરના ભાગે અનેક સ્થળોએ પોપડા ઉખડી ગયા છે, જ્યારે રોડની સપાટી પર સળિયા પણ દેખાઈ રહ્યા હોવાનું જોવા મળ્યું છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ જલારામ અંડરપાસ લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જ જર્જરિત હાલતમાં પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. અંડરપાસના બ્રિજના ઉપરના ભાગે અનેક સ્થળોએ પોપડા ઉખડી ગયા છે, જ્યારે રોડની સપાટી પર સળિયા પણ દેખાઈ રહ્યા હોવાનું જોવા મળ્યું છે. આ સ્થિતિને કારણે વાહનચાલકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
જલારામ અંડરપાસ થયો જર્જરિત !
મળતી માહિતી મુજબ, અંડરપાસના ઉપરના ભાગેથી કોન્ક્રિટના પોપડા ઉખડી ગયા છે, જેના કારણે નીચે પસાર થતા ટુ-વ્હીલર અને અન્ય વાહનચાલકો માટે જોખમ સર્જાયું છે. કોઈપણ સમયે પોપડાનો ભાગ નીચે પડી શકે તેવી સ્થિતિ હોવાથી વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.
રોડ પરના સળિયા બહાર આવી ગયા
સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, અંડરપાસના બાંધકામમાં ગુણવત્તાનો અભાવ હોવાના કારણે રોડ પર અનેક સ્થળોએ સળિયા બહાર આવી ગયા છે. જોકે, અગાઉ પણ આવી સમસ્યા સામે આવી હોવા છતાં યોગ્ય રીતે રિસરફેસિંગ અથવા સમારકામ કરવામાં આવ્યું ન હોવાનું આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
અગાઉ રિપેરિંગ થયું, પણ સ્થિતિ તેમની તેમ જ !
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પાલડી જલારામ અંડરપાસની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા હતા. તે સમયે AMC દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિ જોતા રિપેરિંગ પણ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, અંડરપાસમાં દેખાતા સળિયા અને તૂટતા પોપડા કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. ત્યારે હવે AMC દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય સમારકામ અને સુરક્ષા સંબંધિત પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.