દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત બાદ હવે અમિત શાહ મિશન સૌરાષ્ટ્ર પર, આવતીકાલે સોમનાથમાં સૌરાષ્ટ્રની બેઠકો જીતવા પર કરશે મંથન

|

Oct 24, 2022 | 6:24 PM

Gujarat Election 2022: મિશન ગુજરાત અંતર્ગત અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા મોરચો સંભાળ્યો છે. જેમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મંથન કર્યા બાદ હવે આવતીકાલે તેઓ સૌરાષ્ટ્રના એપી સેન્ટર સમાન સોમનાથમાં જશે અને સૌરાષ્ટ્રની બેઠકો જીતવા પર રણનીતિ ઘડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જીતવા ભાજપ (BJP) સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહ તેમની 6 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઝોન વાઈઝ બેઠકો કરી રણનીતિ ઘડી રહ્યા છે. આવતીકાલે (25.10.22) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમનાથ જશે. જ્યાં સ્થાનિક ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ થશે. જેમાં અમિત શાહ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.

અમિત શાહના ગુજરાતમાં પ્રવાસની જે રણનીતિ બનાવવામાં આવી છે, તેમાં ઝોન મુજબ બેઠકો યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત સૌપ્રથમ તેમણે આ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં બેઠકો યોજી હતી અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો જીતવા રણનીતિ ઘડવામાં આવી. ત્યારબાદ તેઓ મધ્યગુજરાતમાં તેમણે વડોદરામાં પાર્ટીના હોદ્દેદારો સાથે મંથન કર્યુ હતુ. જેમાં મધ્ય ગુજરાતની તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો હતો. મધ્ય બાદ આજે (24.10.22) અમિત શાહ ઉત્તર ગુજરાત પહોંચ્યા હતા. જ્યા બનાસકાંઠાના પાલનપુરમાં સવારના 11 વાગ્યાથી 3 વાગ્યુ સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. અહીં અમિત શાહે ઉત્તર ગુજરાતની તમામ 59 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો. હવે સૌરાષ્ટ્રના એપી સેન્ટર સમાન ગણાતી સોમનાથ બેઠકો પર અમિત શાહ મંથન કરશે.

ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં ભાજપ અહીં ખાતુ પણ ખોલાવી શકી ન હતી. ભાજપને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગીર સોમનાથ હવે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર મતદારોને આકર્ષવા પર ચિંતન કરવામાં આવશે.

Next Video