જુનાગઢમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને ગુજરાતની 26 એ 26 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે તૈયારીઓમાં લાગી જવા હાકલ કરી. આ સાથે તેમણે એવી પણ ટકોર કરી કે જો કોઈ પક્ષ વિરોધી કામ કરે તો તેની સીધી મને જાણ કરજો. આ સાથે તેમણે વધુમાં એવુ પણ કહ્યુ કે કોઈ કાર્યકર્તા ઘરે ન બેસી રહે અને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય. આજે વંથલીમાં સી.આર.પાટીલની હાજરીમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કેસરીયા કર્યા છે. તેમની સાથે 600 થી વધુ કાર્યકર્તા અને સમર્થકોએ પણ કેસરીયા કર્યા છે.
આ કાર્યક્રમમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી. જો કે એવો પણ ગણગણાટ છે કે અરવિંદ લાડાણીના ભાજપમાં પ્રવેશથી જવાહર ચાવડા નારાજ છે, આથી તેઓ પાર્ટીના કોઈ જાહેર કાર્યક્રમમાં દેખાતા નથી. ત્યારે પાટીલે આજે જે પક્ષ વિરોધી કામ કરવાની અને ઘરે બેસી રહેવાની વાત કરી તેનો ઈશારો કોના તરફ હતો તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે
આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદર બેઠક પરથી કોંગ્રેસના અરવિંદ લાડાણીએ ભાજપના જવાહર ચાવડાને માત આપી હતી. જે બાદ હાલ 10 દિવસ પહેલા જ તેમણે કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ અને આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.
આ પણ વાંચો: કેરી રસીયાઓને હવે નહીં જોવી પડે રાહ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનું થયુ આગમન – વીડિયો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો