વધુ એક ભરતીમાં કૌભાંડના આક્ષેપો: યુવરાજ સિંહના સણસણતા સવાલ, એક જ ગામના 18 યુવાનોને નોકરી કેવી રીતે મળી?

|

Jan 04, 2022 | 12:27 PM

AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ PGVCL, DGVCL, UGVCL ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. ચાલો જાણીએ શું આક્ષેપો લગાવ્યા છે આ વિદ્યાર્થી નેતાએ.

ગુજરાતમાં વધુ એક ભરતી વિવાદમાં (Bharti Vivad) આવી છે. આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે (Yuvraj Singh jadeja) ઊર્જા વિભાગ દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તો યુવરાજ સિંહના આરોપ અનુસાર અત્યારે પણ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. તો યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને UGVCL, DGVCL, GETCOની ભરતીમાં મોટાપાયે કૌભાંડ થયાનું જણાવવામાં આવ્યું છે.

એપી સેન્ટર અરવલ્લી, બાયડ

આક્ષેપ છે કે ઊર્જા વિભાગની ભરતીના કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં કૌભાંડ થતું હોવાના યુવરાજ સિંહના આક્ષેપ છે. અહીં એક જ ગામના 18 વિદ્યાર્થીઓની કેવી રીતે ભરતી થઇ? એ ખુબ મોટો પ્રશ્ન ઉઠ્યો છે. યુવરાજ સિંહના આરોપ પ્રમાણે બાયડ ચોઈલા ગામલોકો એમાં વધુ જોડાયેલા છે. પાટીદાર, ચૌધરી અને પ્રજાપતિ સમુદાયના લોકો વધુ જોડાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

પેપર દીઠ 21 લાખની ઉઘરાણી

તો વધુ આક્ષેપો લગાવતા યુવરાજ સિંહે કહ્યું કે ભરતીમાં એક પેપર દીઠ 21 લાખની ઉઘરાણી કરવામાં આવી. જેમાં એડવાન્સ પેટે 1 લાખ રૂપિયા અપાયા છે. નામ સિલેક્શનમાં ન આવે ત્યાં સુધી પૂરી રકમ ન લેવાતા હોવાનો પણ આક્ષેપ છે. તો આ પરીક્ષા 3 શિફ્ટમાં પરીક્ષા લેવાય છે. 1 સેન્ટર પર કોમ્પ્યુટર વ્યવસ્થાને ધ્યાન રાખી કૌભાંડ થતું હોવાનું જાણવા મળ્યું છે. તો સેન્ટ્રલ રૂમમાંથી PC ઓપરેટ થતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું માત્ર નાટક કરે છે. અને કૌભાંડ આચરવામાં આવે છે.

11 ભરતી કૌભાંડ

આક્ષેપો લગાવતા યુવરાજ સિંહે કહ્યું કે અધિકારીનું પ્રોપર નામ નથી ખબર પરંતુ પ્રજાપતિ નામ સાથે આ નામ સંકળાયેલા છે. તો અત્યાર સુધી 10 પેપર લીક કૌભાંડ થઇ ચુક્યા હોવાનો આક્ષેપ છે. અને આ આ 11 મુ ભરતી કૌભાંડ હોવાના પણ આક્ષેપ છે.

કૌભાંડીઓના નામ કર્યા જાહેર

સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં કૌભાંડ થતું હોવાનો આક્ષેપ છે. તો કૌભાંડ આચરનાર સીધી રીતે હાજર ન હોવાનું પણ નેતાએ જણાવ્યું છે. યુવરાજ સિંહનું કહેવું છે કે બાયડમાં ટ્યુશન ચલાવતો અવધેશ પટેલ કૌભાંડ ચલાવે છે. તો ધવલ પટેલ, કુશાંગ પટેલ, હિતેશ પટેલ, બાબુ પટેલ, જિગીશા પટેલે ભરતીનો લાભ લીધો હોવાનો આક્ષેપ છે. ત્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લેવાનો આક્ષેપ છે. કૌભાંડમાં શરૂઆતમાં ટોકન અને ત્યારબાદ બાકીની રકમ અપાય છે. રાજકીય વગના કારણે આ બધા કૌભાંડ ચાલતા હોવાનો આક્ષેપ છે.

 

આ પણ વાંચો: એક તરફ વાયબ્રન્ટ અને બીજી તરફ લોકોને ડરાવતા ભાજપના આ નેતા! ગુજરાતમાં લોકડાઉન અંગે કહી આ વાત

આ પણ વાંચો: ARVALLI : ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચે રાજીનામું ધરી દીધું, જાણો કોના ત્રાંસથી આ પગલું ભર્યું?

Published On - 11:59 am, Tue, 4 January 22

Next Video