Summer Breaking News: ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાત પર પાણી સંકટ! ડેમો ખાલી થવાની કગાર પર, સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર
ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ હવે ગુજરાતના ડેમોમાં પાણીનું સ્તર ઘટ્યું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જળસંગ્રહમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. પાણીના સ્તરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને અનેક ડેમોમાં સંગ્રહ ઝડપથી ઘટી રહ્યો છે. હાલ રાજ્યમાં એકંદરે જળસંગ્રહ લગભગ 68.96 ટકા સુધી ઘટી ગયો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં જળસંગ્રહ માત્ર 54.95 ટકા સુધી પહોંચી ગયો છે. અહીંના 141 ડેમોમાંથી ઘણા ડેમો અડધા ખાલી થઈ ગયા છે અને પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે.
રાજ્યના 207 ડેમોમાંથી 49 ડેમોમાં 25 ટકાથી ઓછું પાણી બાકી છે. આમાંના 18 ડેમોમાં તો 10 ટકાથી પણ ઓછું પાણી છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે સૌરાષ્ટ્રના સાત ડેમ સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે. સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી અને જામનગર જેવા વિસ્તારોમાં ડેમો અડધા ભરેલા અને અડધા ખાલી જોવા મળી રહ્યા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 20 ટકા જળસંગ્રહ બાકી છે.
સરદાર સરોવર ડેમમાં હાલ લગભગ 73 ટકા પાણી છે, પરંતુ થોડા મહિના પહેલા આ સ્તર 96 ટકાથી વધુ હતું. આ ડેમ રાજ્યના ઘણા વિસ્તારો માટે મુખ્ય પાણી સ્ત્રોત છે, તેથી તેના સ્તરમાં ઘટાડો પણ ચિંતાનો વિષય છે. રાજકોટ જેવા મોટા શહેરો પણ નર્મદા આધારિત પાણી પુરવઠા પર નિર્ભર છે.
ઉનાળાના મહિનાઓમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. હાલની સ્થિતિને જોતા રાજ્યમાં પાણી સંકટના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે.