T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની સેમીફાઈનલમાં પહોંચી હતી. પણ આજે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સામે ભારતીય ટીમની શરમજનક હાર થઈ છે. આ સાથે જ ભારતીય ટીમનું ટી20 વર્લ્ડ કપ જીતવાનું સપનુ ફરી તૂટ્યુ છે. ઓસ્ટ્રિલયાના એડિલેડમાં રમાયેલી આ સેમીફાઈનમાં ભારતને ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી કારમી હાર મળી છે. ભારત આ પહેલા વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ જીતી હતી. આજની હાર સાથે અનેક ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોના દિલ તૂટ્યા હતા. ચાહકોની સાથે ભારતીય ટીમના કેપ્તન રોહિત શર્મા પણ આ સમયે ભાવુક થયા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રોહિત શર્મા માટે આ હાર બાદનો સમય ખુબ મુશ્કેલ રહ્યો હતો. આખી ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન બાદ ફાઈનલ સુધી પહોંચવામાં ભારતીય ટીમ નિષ્ફળ રહી હતી. તે સમયે ભારતીય ટીમના ખેલાડીઓ અને ચાહકોની આંખો ભરાઈ આવી હતી. કેપ્તન રોહિત શર્મા પણ રડ્યા હતા, જેમને શાંત કરવા રાહુલ દ્રવિડ તેમની પાસે આવીને તેમને સંભાળતા અને શાંત કરતા જોવા મળ્યા હતા. પણ રોહિત શર્માના આંસુ રોકાયા ન હતા. ઘણા ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાના રોષ વ્યક્ત કર્યો હતો. રોહિત શર્માનો વીડિયા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. તેણે 169 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 16 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 170 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 રન બનાવ્યા હતા. ભારતના છ બોલરોમાંથી ચાર બોલરોએ 10થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા ભારતે ઈંગ્લેન્ડ સામે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ઇંગ્લિશ ટીમને 169 રનનો પડકારજનક ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તેણે 33 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક છેલ્લા બોલ પર હિટ વિકેટ પર આઉટ થયો હતો. તેના સિવાય વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી.
Published On - 7:04 pm, Thu, 10 November 22