ખગોળશાસ્ત્રીઓએ પ્રથમ વખત ગુરુના ચંદ્ર ગેનીમેડના (Ganymede) વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા શોધી કાઢ્યા છે. જ્યારે ચંદ્રની સપાટીમાંથી બરફ ઘનથી ગેસમાં બદલાય છે ત્યારે આ પાણીની વરાળની રચના થાય છે. નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત આ સંશોધન માટે વૈજ્ઞાનીકોએ અમેરિકન સ્પેસ એજન્સી નાસાના હબલ ટેલિસ્કોપનો (Hubble Telescope) ઉપયોગ કર્યો છે.
આ પહેલાના સંશોધન દાવો કરે છે કે, સૌરમંડળના સૌથી મોટા ચંદ્ર ગેનીમેડમાં પૃથ્વીના તમામ મહાસાગરો કરતાં વધુ પાણી છે. જો કે, ત્યાં તાપમાન એટલું ઠંડું છે કે સપાટી પર પાણી થીજી જાય છે. અહેવાલ મુજબ, ગેનીમીડનો સમુદ્ર સપાટીથી લગભગ 100 માઇલ નીચે હાજર છે. તેથી આ પાણીની વરાળ આ સમુદ્રની નથી.
જળ બાષ્પના આ પુરાવા શોધવા માટે ખગોળશાસ્ત્રીઓએ છેલ્લા બે દાયકાથી હબલ ડેટાની ફરીથી તપાસ કરી. 1998માં હબલની સ્પેસ ટેલિસ્કોપ ઇમેજિંગ સ્પેક્ટ્રોગ્રાફ (STIS)એ ગેનીમેડનું પહેલું અલ્ટ્રાવાયોલેટ ચિત્ર લીધું હતું. તસવીરમાં એવું બહાર આવ્યું છે કે, ગેનીમેડનું નબળું ચુંબકીય ક્ષેત્ર છે. ‘નાસા હબલ’ એ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી ફોટો શેર કર્યો હતો અને ટેલિસ્કોપની શોધ વિશે માહિતી આપી હતી.
ફોટો સાથેની કેપ્શનમાં લખ્યું છે કે, ‘હબલને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીના વરાળ હોવાના પુરાવા મળ્યા છે. ખગોળશાસ્ત્રીઓએ હબલ ડેટાની મદદથી ગુરુના ચંદ્ર ગેનીમેડના વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા મેળવ્યા છે. તે બરફથી ઢંકાયેલ વિશ્વ છે જેમાં પૃથ્વીના તમામ મહાસાગરો કરતાં વધુ પાણી હોઈ શકે છે. પરંતુ ગેનીમીડના સમુદ્રો 100 માઇલ-જાડા બર્ફીલા પોપડાના નીચે આવેલા છે. આ વાતાવરણીય પાણીની વરાળ ‘ઉર્ધ્વપતન’ નામની પ્રક્રિયા દ્વારા નિર્માણ પામી હતી. જ્યારે કોઈ નક્કર બરફ સીધા ગેસમાં ફેરવાય છે.
Published On - 7:17 pm, Tue, 27 July 21