
જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો તમારે એ જાણવું જરૂરી છે કે તમારા ફોનમાં કોઈ માલવેર છે કે નહીં. જો તમારા ફોનમાં માલવેર હોય, તો તમે તેને કેવી રીતે ઓળખી કે શોધી શકો ? એકવાર તમને માલવેર મળી જાય પછી તમે તેને તમારા ફોનમાંથી કેવી રીતે દૂર કરવો ? આ અંગે અમે આજે, તમને માહિતી આપીશું.
માલવેર એ એક પ્રકારનું સોફ્ટવેર છે, જે ડેટા ચોરી કરવા, તમારી જાસૂસી કરવા અને તમારા ઉપકરણને નુકસાન પહોંચાડવા માટે રચાયેલ છે. એન્ડ્રોઇડ ફોનને માલેવર ઘણીવાર નિશાન બનાવે છે, કારણ કે લોકો ફક્ત સત્તાવાર એપ સ્ટોરમાંથી જ નહીં, પરંતુ થર્ડ પાર્ટી સાઇટ્સ પરથી APK દ્વારા પણ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે છે.
જો તમારા સ્માર્ટ મોબાઈલ ફોનમાં માલવેર હોય તો તે કેટલાક સંકેતો આપે છે. ખાસ કરીને જ્યારે તમારો ફોન અચાનક ધીમો પડી જાય છે, વારંવાર મોબાઈલ ફોન ક્રેશ થાય છે અથવા કોઈ દેખીતા કારણ વગર જ વધુ પડતો ગરમ થાય છે, તો આવા સંકેતોને અવગણશો નહીં. આ ઉપરાત તમે તમારા મોબાઈલનો બહુ ઉપયોગ ના કરતા હોવ છતા તેની બેટરી સામાન્ય કરતાં વધુ ઝડપથી ઉતરી જતી હોય તો તે એક વધારાનો સંકેત છે કે તમારા મોબાઈલમાં માલવેર છે. તેથી સાવચેત થઈ જવું જરૂરી છે. આ સંકેતો દ્વારા મળેલ ચેતવણી છે જેને તમારે અવગણવી ના જોઈએ.
તમારે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનોએકવાર ચેક કરવી જોઈએ. સેટિંગ્સમાં જાઓ, એપ્લિકેશન્સ ખોલો અને લિસ્ટમાંથી સ્ક્રોલ કરો. જો તમને એવી કોઈ એપ્લિકેશન દેખાય કે જેને તમે ઇન્સ્ટોલ કરી નથી અથવા કોઈ અજાણ્યા કે વિચિત્ર નામવાળી એપ્લિકેશન દેખાય, તો તરત જ સાવચેત થાવ અને તે એપ્લીકેશનને તમારા ફોનમાંથી દૂર કરો.
જો તમને કોઈ એપ્લિકેશન પર શંકા હોય, તો તેને તાત્કાલિક કાઢી નાખો, તમારા ફોનનું સોફ્ટવેર અપડેટ રાખો અને તરત જ તમારા મોબાઈલ સહીત અન્ય એપ્લીકેશનના પાસવર્ડ બદલી નાખો. જો આ બધુ કરવામાં નિષ્ફળ જાવ છો તો, તમારા ડેટાનો બેકઅપ લો અને ફેક્ટરી રીસેટ કરો. કેટલીકવાર, આ બધુ ઠીકઠાક કરવા માટે આ જ એકમાત્ર રસ્તો હોય છે.