
Artificial Intelligence એટલે કે ‘AI’ દુનિયાના કામકાજની તસ્વીરને ઝડપથી બદલી રહ્યું છે અને આ બદલાવને લઈને AI એક્સપર્ટ સ્ટુઅર્ટ રસેલે મોટી ચેતવણી આપી છે. રસેલના મતે, AI સિસ્ટમ્સ હવે લગભગ દરેક કામ કરવા માટે સક્ષમ છે. તેમનું કહેવું છે કે, ભવિષ્યમાં કોઈ પણ વ્યવસાય સુરક્ષિત રહેશે નહીં.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સર્જનો જેવા ઉચ્ચ પ્રશિક્ષિત (Highly Trained) વ્યવસાયો પણ AI થી બચી શકશે નહીં. રસેલે જણાવ્યું હતું કે, AI આધારિત રોબોટ માત્ર સાત સેકન્ડમાં સર્જરી શીખીને માણસ કરતાં પણ વધુ સારા સર્જન બની શકે છે.
રસેલે વધુમાં કહ્યું કે, આ ખતરો ફક્ત કર્મચારીઓ સુધી મર્યાદિત નથી પરંતુ ‘AI’ સીઈઓ સુધી પણ પહોંચી ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે, એવો સમય આવી શકે છે જ્યારે કોઈ કંપનીનું બોર્ડ તેના CEO ને કહી શકે કે, જો તેઓ AI સિસ્ટમોને નિર્ણય લેવાની શક્તિ નહીં આપે, તો તેમને દૂર કરી શકાય છે. આવું એટલા માટે કેમ કે, ભવિષ્યમાં AI-આધારિત નેતૃત્વ બીજી કંપનીઓમાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું હશે.
રસેલે એક મોટી વૈશ્વિક કટોકટીની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિશ્વ 80% બેરોજગારી તરફ આગળ વધી રહ્યું છે. તેમની ચેતવણી ઇન્ડસ્ટ્રીમાં ચિંતાઓ વધારશે તે નિશ્ચિત છે. સ્ટુઅર્ટ રસેલના મંતવ્યો પહેલાં પણ ઘણા ટેક નિષ્ણાતોએ આ ખતરો દર્શાવ્યો હતો.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ તાજેતરમાં કહ્યું હતું કે, ભવિષ્યમાં ‘AI’ સીઈઓ જેવી ભૂમિકા ભજવી શકે છે. તેમણે સ્વીકાર્યું કે, ‘AI’ વિશેની ચિંતાઓ હવે ફક્ત ટેકનિકલ નથી રહી પરંતુ નેતૃત્વ લેવલ સુધી પહોંચી ગઈ છે.