
આગામી સમયમાં આધારકાર્ડમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. UIDAI ના CEO ભુવનેશ કુમારે જણાવ્યું કે લોકો સામાન્ય રીતે આધાર કાર્ડની ફોટોકોપી અનેક જગ્યાએ આપી દે છે, જેમાં સરનામું, પિતાનું નામ, જન્મ તારીખ જેવી વિગતો ખુલ્લેઆમ જોવા મળે છે.
આ માહિતીનો દુરુપયોગ થવાનું જોખમ વધે છે. આ જોખમ અટકાવવા માટે UIDAI વિગતો કાર્ડ પર છાપવાને બદલે તેને QR કોડમાં ડિજિટલ રૂપે સુરક્ષિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
તેમણે સ્પષ્ટ કહ્યું, “જો વિગતો કાર્ડ પર હશે તો લોકો તેને દસ્તાવેજ માનીને આપતા રહેશે. તેથી ભવિષ્યમાં આધાર પર ફક્ત ફોટો અને QR કોડ જ દેખાવા જોઈએ.”
ભારતીયોમાં ID બતાવવાની જરૂર પડે ત્યારે આધારની ફોટોકોપી આપવાની લાંબા સમયથી ચાલતી ટેવ હવે બદલાશે. UIDAI ડિસેમ્બરથી એક નવો નિયમ લાગુ કરી શકે છે, જેમાં ઓફલાઇન વેરિફિકેશન બંધ કરવામાં આવશે. હવે આધાર કાર્ડનો ઉપયોગ ભૌતિક દસ્તાવેજ તરીકે નહીં, પરંતુ QR કોડ અથવા આધાર નંબરથી ઓનલાઈન વેરિફિકેશન દ્વારા થશે.
પરિણામે, કોઈ પણ વ્યક્તિ તમારી ID ની ડુપ્લિકેટ કોપી બનાવી શકશે નહીં, કારણ કે ઑનલાઈન વેરિફિકેશન વિના આ અમાન્ય ગણાશે.
UIDAI ટૂંક સમયમાં હાલની mAadhaar એપ્લિકેશનને બદલીને એક સંપૂર્ણપણે નવી આધુનિક એપ લોન્ચ કરશે. આ એપ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટના કડક નિયમો અનુસાર વિકસાવવામાં આવી રહી છે. આગામી 18 મહિનામાં તેનો સંપૂર્ણ અમલ થશે.
આ પદ્ધતિથી નકલી ID નો ઉપયોગ અટકશે અને સગીર બાળકો પુખ્ત વયની એન્ટ્રી વાળી જગ્યાઓમાં પ્રવેશ નહીં મેળવી શકે. UIDAI ટૂંક સમયમાં આ ટેકનોલોજીને સમગ્ર દેશમાં અમલમાં મૂકશે.
Published On - 4:13 pm, Thu, 20 November 25