
દુનિયાની મોટી ટેક કંપનીઓમાં છટણીનો દોર ચાલુ છે અને લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. Meta એ પણ 20 મેના રોજ અંદાજે 8 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આ કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 10 ટકા જેટલો હિસ્સો માનવામાં આવે છે. આ નિર્ણય બાદ ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર નોકરી અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
Meta છેલ્લા કેટલાક સમયથી પોતાના બિઝનેસ મોડલ અને કામ કરવાની પદ્ધતિમાં મોટા ફેરફારો કરી રહી છે. કંપની હવે નાની પણ વધુ ઝડપી અને AI આધારિત ટીમ મોડલ પર ફોકસ કરી રહી છે. આવી સ્થિતિમાં કંપનીએ જણાવ્યું છે કે, જે કર્મચારીઓની નોકરી જશે, તેમને સારું સેવરન્સ પેકેજ એટલે કે વળતર આપવામાં આવશે.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, Meta ના ચીફ પીપલ ઓફિસર જેનલ ગેલ (Janelle Gale) એ કર્મચારીઓને મોકલેલા એક ઇન્ટરનલ મેમોમાં જણાવ્યું કે, અમેરિકામાં નોકરી ગુમાવનારા કર્મચારીઓને 16 અઠવાડિયાનો બેઝિક પગાર આપવામાં આવશે. Meta એ જણાવ્યું છે કે, નોકરી ગુમાવનારા કર્મચારીઓને સારું વળતર પેકેજ આપવામાં આવશે.
Meta એ જણાવ્યું છે કે, 20 મેના રોજ જે કર્મચારીઓની નોકરી જશે, તેમને તેમના ઓફિસ અને પર્સનલ ઈમેલ પર જાણકારી મોકલવામાં આવશે. કંપનીએ કર્મચારીઓને પોતાનો પર્સનલ ઈમેલ અપડેટ રાખવા પણ કહ્યું છે. કંપનીએ એ વાત સ્વીકારી છે કે, આ સમાચાર કર્મચારીઓ માટે પરેશાન કરનારા છે પરંતુ મીડિયામાં સમાચાર લીક થયા બાદ કંપનીએ વહેલી જાણકારી શેર કરવાનો નિર્ણય લીધો હતો.
Meta ના CEO માર્ક ઝુકરબર્ગનું કહેવું છે કે, કંપની હવે એવી ટીમ બનાવવા માંગે છે, જે નાની હોય પણ વધુ કામ કરી શકે. તેમના મતે, AI ની મદદથી હવે નાના ગ્રુપ અથવા એક વ્યક્તિ પણ તે કામ કરી શકે છે, જેના માટે પહેલા મોટી ટીમ અને ઘણા મહિનાઓ લાગતા હતા. કંપનીનું કહેવું છે કે, AI પ્રોડક્ટ ડેવલપમેન્ટને ઝડપથી બદલી રહ્યું છે અને Meta હવે AI આધારિત ભવિષ્ય પર વધુ ફોકસ કરી રહી છે.
માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, AI લોકોની જગ્યા નહીં લે પરંતુ કર્મચારીઓને વધુ પ્રોડક્ટિવ (કાર્યક્ષમ) બનાવશે. કંપનીના આ પગલાથી એ સ્પષ્ટ છે કે, Meta હવે ઓછા કર્મચારીઓ સાથે વધુ કામ કરવાની રણનીતિ પર આગળ વધી રહી છે. Meta આ વર્ષે રેકોર્ડ સ્તર પર ખર્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ, કંપની 125 થી 145 અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે.