
પુડુચેરી ક્રિકેટ એસોસિએશનની અંડર-19 ટીમના હેડ કોચ એસ.વેંકટરમન પર 3 સ્થાનિક ક્રિકેટરોએ હુમલો કર્યો છે. આ ઘટના 8 ડિસેમ્બરની છે. જેમાં હેડ કોચના માથામાં ગંભીર ઈજા થઈ છે. તેમજ તેના ખંભામાં ફેકચર થયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ખેલાડી ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પસંદગી ન થતા નારાજ હતા. આ મામલે હવે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
સેડારપેટ પોલિસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એસ.રાજેશે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, હેડ કોચ વેંકટરમણના માથા પર 20 ટાંકા આવ્યા છે. તેની હાલત હાલ સ્થિર છે. પોલીસે આરોપી ખેલાડીઓને લઈ જણાવ્યું કે, તમામ આરોપી ફરાર છે. અન્ય કાર્યવાહી આગળની જાણકારી મળ્યા બાદ કરવામાં આવશે.
ઈન્ડિયન એક્સપ્રેસે 9 ડિસેમ્બરના રોજ પુડુચેરીમાં ક્રિકેટને લઈ ચાલી રહેલા છેતરપિંડીનો ખુલાસો કર્યો હતો. તે રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ખોટા ડોક્યુમેન્ટ અને આધારનો ઉપયોગ કરી બીજા રાજ્યના ખેલાડીઓને સ્થાનિક બનાવી રમાડવામાં આવતા હતા.આ એક મોટું કારણ છે કે, 2021 થી રણજી ટ્રોફીમાં પુડુચેરીનું પ્રતિનિધિત્વ કરનારા ફક્ત પાંચ ખેલાડીઓ જ સ્થાનિક છે.
પુડુચેરી ક્રિકેટ એસોશિએશનનો રિપોર્ટ સામે આવ્યા બાદ તેના પર પ્રતિક્રિયા આપતા બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, રિપોર્ટમાં ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે. આ માટે બોર્ડ ટુંક સમયમાં તપાસ કરશે.
અંડર 19 ટીમના કોચ એસ.વેંકટરમણ સીએપીના પૂર્વ સચિવ પણ રહી ચૂક્યા છે. તેમણે 8 ડિસેમ્બરના રોજ ખુદ હુમલાની ફરિયાદ કરી 3 સ્થાનિક ક્રિકેટરોના નામ આપ્યા હતા. જેના નામ કાર્તિકેયન જયસુંદરમ,એ અરવિંદરાજ અને એસ સંતોષ કુમારન છે. જેમાં કાર્તિકેયન સીનિયર ખેલાડી છે. જેમણે અલગ અલગ ફોર્મેટમાં કુલ 6 મેચ રમી છે. તો અરવિંદરાજ અને સંતોષ કુમારન, રણજી ટ્રોફીમાં પુડુચેરીનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો ખેલાડી છે. વેંકટરમણે પોતાની ફરિયાદમાં ભરતિદાસન પુડુચેરી ક્રિકેટર્સ ફોરમના સચિવ જી ચંદ્રન પર હુમલાને ભડકાવવાનો આરોપ પણ લગાવ્યો છે.CAP એ આ સમગ્ર મામલે કોઈપણ નિવેદન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
Published On - 9:55 am, Wed, 10 December 25