વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. યશસ્વી જયસ્વાલ હવે ઋતુરાજ ગાયકવાડનું સ્થાન લેશે, તે ત્રીજા ઓપનર તરીકે ટીમમાં જોડાયો હતો. ભારતીય ટીમમાં આ અચાનક બદલાવનું કારણ ઋતુરાજ ગાયકવાડના લગ્ન છે, જે 3-4 જૂન વચ્ચે થવા જઈ રહ્યા છે.
આ અંગે ગાયકવાડે BCCIને જાણ કરી હતી અને 5 જૂન સુધીમાં ટીમ સાથે જોડાવા વિનંતી કરી હતી. પરંતુ, ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઋતુરાજના રિપ્લેસમેન્ટની માંગ કરી હતી. એક અહેવાલ મુજબ, જયસ્વાલને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ દ્વારા લાલ બોલથી પ્રેક્ટિસ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
IPL 2023માં યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં હતો. ભલે તેની ટીમ રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં ન પહોંચી શકી પરંતુ તેણે 14 મેચમાં 625 રન બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે IPL પહેલા રણજી ટ્રોફીની 5 મેચમાં 404 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે WTC ફાઇનલમાં ઋતુરાજના સ્થાને જયસ્વાલની પસંદગી કરવામાં આવી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે. ગાયકવાડને આ મેચ માટે ત્રીજા ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે બીસીસીઆઈને વિનંતી કરી હતી કે તેના લગ્નના કારણે તે 5 જૂન સુધીમાં ટીમ સાથે જોડાઈ જશે. પરંતુ, ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેમાં કોઈ રસ ન દાખવતા પસંદગીકારો પાસેથી તેના રિપ્લેસમેન્ટની માંગ કરી હતી.
BCCIના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. તેમના મતે, ઋતુરાજ લગ્નના કારણે લંડન નહીં જઈ શકે, આ સ્થિતિમાં યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમનો ભાગ હશે. જયસ્વાલને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવાનો નિર્ણય રાહુલ દ્રવિડનો હતો, કારણ કે ઋતુરાજે 5 જૂન અથવા તે પછી ટીમમાં જોડાવાનું કહ્યું હતું. જયસ્વાલ હવે ટૂંક સમયમાં લંડન જશે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટુકડે-ટુકડે લંડન જવા રવાના થઈ રહી છે. રોહિત શર્મા અને ઈશાન કિશન રવિવારે (28 મે) લંડન જવા રવાના થશે. જ્યારે શમી, શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા IPL ફાઈનલ રમ્યા બાદ સૂર્યકુમાર યાદવ સાથે 30 જૂને લંડન જશે.