IND vs BAN : પુણેમાં ઈતિહાસનું પુનરાવર્તન કરવા બાંગ્લાદેશ તૈયાર, ટીમ ઈન્ડિયા સાવધાન !

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ODI ક્રિકેટના આંકડા ટીમ ઈન્ડિયાની તરફેણમાં છે, પરંતુ છેલ્લી 4 મેચોમાં બાંગ્લાદેશના ખેલાડીઓ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. આ પહેલા બંને ટીમો એશિયા કપમાં ટકરાઈ હતી જ્યાં બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. આ સિવાય છેલ્લા છ મુકાબલામાં બાંગ્લાદેશ ભારતને ત્રણ વાર હરાવી ચૂક્યું છે, એવામાં બાંગ્લાદેશની ટીમને હલકામાં લેવું ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે.

IND vs BAN : પુણેમાં ઈતિહાસનું પુનરાવર્તન કરવા બાંગ્લાદેશ તૈયાર, ટીમ ઈન્ડિયા સાવધાન !
India vs Bangladesh
| Edited By: | Updated on: Oct 19, 2023 | 7:44 AM

વર્લ્ડ કપ 2023 ( World Cup 2023) ની યજમાન ટીમ અને ટ્રોફી જીતવાની સૌથી મોટી દાવેદાર ટીમ ઈન્ડિયા સતત ત્રણ જીત સાથે ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયા (Team India) ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવી ચૂકી છે અને હવે તેમની સામે બાંગ્લાદેશ (Bangladesh) છે, જેની સામે સામાન્ય રીતે ટીમ ઈન્ડિયા જીતની દાવેદાર હશે.

પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક વર્ષનો બાંગ્લાદેશનો રેકોર્ડ જરૂર ધ્યાનમાં રાખવો પડશે. કારણકે બાંગ્લાદેશ મોટી ટીમોને હરાવવા સક્ષમ છે અને ખાસ કરીને ભારત સામે મોટી ટુર્નામેન્ટમાં તેમનો રેકોર્ડ સારો રહ્યો છે, એવામાં રોહિત શર્માની ટીમને આ મેચ માટે સૌથી વધુ સાવચેત રહેવું પડશે.

પુણેમાં ટીમ ઈન્ડિયાને જીતની અપેક્ષા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ મુકાબલો ગુરુવારે 19 ઓક્ટોબરે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં થશે. વર્લ્ડ કપના 10 માંથી 9 સ્થળો પર ટીમ ઈન્ડિયાનું આ ચોથું સ્ટોપ છે. પ્રથમ ત્રણ મેચમાં ભારતે એકતરફી રીતે જીત મેળવી હતી અને વિરોધીઓને હરાવ્યા છે. ટીમ ઈન્ડિયા જે પ્રકારના ફોર્મમાં છે તેને જોતા પુણેમાં જીતની અપેક્ષાઓ ટીમ ઈન્ડિયા પર વધુ રહેશે.

વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ભારતને હરાવી ચૂક્યું છે

જો ભારત અને બાંગ્લાદેશનો ઈતિહાસ જોઈએ તો સ્વાભાવિક રીતે જ ભારતનું પલડું ભારે છે, કુલ 40 ODI મેચોમાંથી, ભારતે 31 જીતી છે અને બાંગ્લાદેશ માત્ર 8 જીતી શક્યું છે. એક અનિર્ણિત હતી. જોકે, બાંગ્લાદેશે છેલ્લી 4 વનડેમાંથી 3 જીતી છે અને આવી સ્થિતિમાં, તાજેતરનો રેકોર્ડ બાંગ્લાદેશની તરફેણમાં છે. આ સિવાય બાંગ્લાદેશે વર્લ્ડ કપ 2007માં ભારતને હરાવી સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું.

અઠવાડિયામાં ત્રીજો અપસેટ થઈ શકે !

ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્રબળ દાવેદાર છે અને રહેશે, તેમ છતાં અફઘાનિસ્તાનના હાથે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડના હાથે પરાજય મળ્યા બાદ આ અઠવાડિયામાં ત્રીજો અપસેટ થઈ શકે છે. જો ટીમ ઈન્ડિયા કોઈપણ પ્રકારની બેદરકારી અને ભૂલ કરશે, તો બાંગ્લાદેશ ભારતને હરાવી શકે છે.

કેપ્ટન રોહિત શર્માનું શાનદાર ફોર્મ

ભારતીય ટીમમાં સૌથી સારા સમાચાર કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ છે, તેણે 3 મેચમાં 217 રન બનાવ્યા છે. રોહિત પાસે બાંગ્લાદેશ સામે સતત ત્રીજા વિશ્વ કપમાં સદી ફટકારવાની તક છે. શુભમન ગિલ પણ આ વખતે મોટી ઈનિંગ રમવા માંગશે. વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પણ સારા ફોર્મમાં છે.

શાર્દુલ અને અશ્વિન વચ્ચે કોને તક મળશે?

ટીમની બોલિંગ અત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હોય તેવું લાગતું નથી. વર્લ્ડ કપમાં મોહમ્મદ સિરાજ પર વર્ચસ્વ જમાવી રહ્યો છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમીને રાહ જોવી પડી શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે શાર્દુલ ઠાકુર અને રવિચંદ્રન અશ્વિન વચ્ચે કોને તક મળશે? આ પિચ પર સ્પિનરોને વધારે મદદ મળતી નથી, તેથી શાર્દુલને ટીમમાં તક મળી શકે છે.

આ પણ વાંચો : ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : શ્રીલંકાનો સ્ટાર બેટ્સમેન કુસલ મેન્ડિસ રનિંગ કરી 4016 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

પુણેમાં ટીમ ઈન્ડિયાએ 4 મેચ જીતી

પુણે સ્ટેડિયમના રેકોર્ડની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ અહીં 7 વનડે રમી છે જેમાંથી 4માં જીત મેળવી છે, જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો છે. અહીંની પિચ હાઈ સ્કોરિંગ છે અને 8 ઈનિંગ્સમાં 300થી વધુનો સ્કોર બન્યો છે. આ પીચ પર પહેલા બેટિંગ કરીને 300થી વધુ સ્કોર કરવાથી જીતની શક્યતા વધી જાય છે. અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 4 મેચ જીતી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:41 am, Thu, 19 October 23