
બેંગલુરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્રથમ IPL વિજયની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત બાદ, ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. RCBએ 17 વર્ષ પછી પ્રથમ IPL ટ્રોફી જીતી હતી અને તેના માટે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું.
શુક્રવારે નૈજા હોર્ટાગરારા વેદિકેના પ્રતિનિધિ એ.એમ. વેંકટેશે કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી છે અને કહ્યું છે કે પહેલાથી નોંધાયેલ એફઆઈઆર સાથે તેની તપાસ કરવામાં આવશે. સમાચાર એજન્સી આઈએએનએસએ આ માહિતી આપી છે. આરસીબીએ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને હરાવીને પહેલીવાર આઈપીએલની ટ્રોફી જીતી છે.
કર્ણાટક પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR મુજબ આ ઇવેન્ટનું આયોજન RCB ફ્રેન્ચાઇઝ, ઇવેન્ટ કંપની DNA અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વહીવટી સમિતિ દ્વારા જરૂરી સરકારી પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. FIRમાં ભારતીય દંડ સંહિતાની ઘણી કલમો લાદવામાં આવી છે.
જેમાં કલમ 105નો સમાવેશ થાય છે, જે હત્યા નહીં પરંતુ ઇરાદાપૂર્વક મૃત્યુ માટે જવાબદાર ગુના સાથે સંબંધિત છે. આ ઉપરાંત કલમ 115 (2) – ઇરાદાપૂર્વક કોઈને નુકસાન પહોંચાડવું. કલમ 118 (1) – ખતરનાક રીતે નુકસાન પહોંચાડવું અથવા ગંભીર ઇજા પહોંચાડવી. કલમ 118 (2) અને કલમ 3 (5) – સામાન્ય ઇરાદાથી ગંભીર ઇજા પહોંચાડવી. અન્ય ઘણી કલમો શામેલ છે.
આ ઉપરાંત આ અકસ્માત અંગે કુબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં બે અન્ય ફરિયાદો નોંધાઈ છે. એક ફરિયાદ રોલેન્ડ ગોમ્સ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી જે નાસભાગમાં ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેમણે કહ્યું, “મેં સોશિયલ મીડિયા પર RCB ની પોસ્ટ જોઈ અને મારા મિત્રો સાથે ઇવેન્ટ જોવા આવ્યો. જ્યારે હું ગેટ નંબર 17 દ્વારા અંદર જઈ રહ્યો હતો, ત્યારે ખૂબ ભીડ હતી અને મારો ખભો બહાર નીકળી ગયો.”
આ કેસમાં RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની પણ ધરપકડ કરવામાં આવી છે. નિખિલ જ્યારે બેંગલુરુના કેમ્પાગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ સવારે 6:30 વાગ્યે થઈ હતી. ગુરુવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ RCB અધિકારીની ધરપકડનો આદેશ આપ્યો હતો. નિખિલ ઉપરાંત, DNA કંપનીના ત્રણ અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.