Virat Kohli: કેપ્ટનશીપ છોડવા પર BCCI સચિવ જય શાહનો ખુલાસો, કહ્યુ-છ મહિનાથી ચાલી રહી હતી તૈયારી

વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ પ્રથમ વખત મોટી T20 ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે, જે તેની કેપ્ટનશિપ હેઠળની છેલ્લી ટુર્નામેન્ટ પણ હશે. કોહલીએ 2017 માં આ ફોર્મેટમાં ટીમની કમાન સંભાળી હતી.

Virat Kohli: કેપ્ટનશીપ છોડવા પર BCCI સચિવ જય શાહનો ખુલાસો, કહ્યુ-છ મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Virat Kohli-Jay Shah
| Edited By: | Updated on: Sep 16, 2021 | 11:37 PM

ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનો બીજો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી T20 માં ટીમ ઈન્ડીયા (Team India) ની કેપ્ટનશિપ સંભાળી રહેલા વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં આ જવાબદારી છોડવાનો નિર્ણય કર્યો છે. વિરાટે ગુરુવારે, 16 સપ્ટેમ્બરના રોજ એક નિવેદન બહાર પાડીને UAE માં યોજાનારા T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) બાદ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી.

કોહલીએ કહ્યું કે ત્રણેય ફોર્મેટમાં રમવાના કારણે અને ટીમની કેપ્ટનશીપ કરવાને કારણે, તેના પર વર્કલોડ ખૂબ હતો અને તેને ધ્યાનમાં રાખીને તેણે આ નિર્ણય લીધો છે. આ મુદ્દે BCCI ના સચિવ જય શાહે (Jay Shah) ખુલાસો કર્યો છે કે કોહલી અને ટીમના નેતૃત્વ જૂથ સાથે છેલ્લા 6 મહિનાથી ચર્ચા ચાલી રહી હતી અને ત્યારથી કોહલી પદ છોડવાની તૈયારી કરી રહ્યો હતો.

ઘણા દિવસોની મીડિયા અટકળો, દાવાઓ અને તેના પર BCCI ના અધિકારીઓના ખંડન પછી, ગુરુવારે અચાનક ભારતીય કેપ્ટન કોહલીએ પોતાનો નિર્ણય આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. કોહલીએ કહ્યું કે તેણે તેના નજીકના લોકો, કોચ રવિ શાસ્ત્રી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા સાથે આ નિર્ણયની ચર્ચા કરી હતી અને તેઓએ BCCI ના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. કોહલીએ કહ્યું કે તે ખેલાડી તરીકે ટીમમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.

કોહલીએ સરળ પરિવર્તન માટે નિર્ણય લીધો

BCCI ના સચિવ જય શાહે તાજેતરમાં કોહલીને કેપ્ટનશીપમાંથી હટાવવાની શક્યતાને નકારી કાઢી હતી. ભારતીય કેપ્ટનના નિર્ણય બાદ પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બોર્ડ પાસે ટીમ ઈન્ડીયા માટે સ્પષ્ટ રોડમેપ છે. કોહલીના નિર્ણય અંગે વાત કરતા તેમણે કહ્યું કે, અમારી પાસે ટીમ ઇન્ડીયા માટે સ્પષ્ટ રોડમેપ છે. વર્કલોડ અને સરળ સંક્રમણને ધ્યાનમાં રાખીને, વિરાટ કોહલીએ આગામી વર્લ્ડકપ બાદ T20 કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.

કોહલી સાથે 6 મહિના સુધી વાતચીત ચાલી રહી હતી

શાહે એમ પણ કહ્યું કે તેઓ છેલ્લા 6 મહિનાથી આ મુદ્દે ટીમના નેતૃત્વ સાથે વાત કરી રહ્યા હતા. શાહે કહ્યું, હું વિરાટ અને નેતૃત્વ જૂથ સાથે છેલ્લા 6 મહિનાથી ચર્ચામાં હતો અને આ નિર્ણય પર ઘણો વિચાર કરવામાં આવ્યો છે. વિરાટ એક ખેલાડી તરીકે અને ટીમના વરિષ્ઠ સભ્ય તરીકે ભારતીય ક્રિકેટના ભવિષ્યને ઘડવામાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.

કોહલીની કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન: ગાંગુલી

સાથે જ BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ કહ્યું કે આ નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કોહલીના યોગદાનની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, વિરાટ ભારતીય ક્રિકેટ માટે એક વિશેષ શક્તિ છે અને તેણે ટીમનું તેજસ્વી નેતૃત્વ કર્યું છે. તે તમામ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન છે. આ ભવિષ્યના રોડમેપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. અમે T20 કેપ્ટન તરીકે વિરાટના શાનદાર પ્રદર્શન માટે આભાર માનીએ છીએ. અમે તેને T20 વર્લ્ડ કપ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ કે તે ભારત માટે ઘણા રન બનાવે.

કેપ્ટન બનશે રોહિત શર્મા !

આ સાથે લાંબા સમયથી રોહિત શર્માને T20 ટીમના કેપ્ટન બનાવવાની માગ પૂરી થવા જઈ રહી છે. વિરાટની ગેરહાજરીમાં જ્યારે પણ ઉપ-કપ્તાન તરીકે રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી ત્યારે સારા પરિણામો ઉપલબ્ધ થયા છે. આ સિવાય એક કેપ્ટન તરીકે મુંબઈ ઇન્ડીયન્સને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર તેમનો દાવો પણ સતત મજબૂત હતો, જે હવે સાચો પડવાની ધાર પર છે. વર્લ્ડ કપ બાદ BCCI તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

 

આ પણ વાંચોઃ Virat Kohli : વિરાટ કોહલીએ બતાવ્યુ કેપ્ટનશીપ છોડવાનુ કારણ, આ લોકો સાથે વાત કરીને લીધો નિર્ણય, વાંચો નિવેદન

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલી એ અચાનક કેમ છોડી ટીમ ઇન્ડીયાની T20 કેપ્ટનશીપ ? કયા કારણોથી લીધો નિર્ણય