
ભારતીય ટીમ ઓગસ્ટમાં બે મેચની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા ખેલાડીઓની ઈજાથી પરેશાન છે.
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર ‘વોશિંગ્ટન સુંદર’ શ્રીલંકા સામે 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં, જ્યારે નીતિશ કુમાર રેડ્ડી અને ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાગ્રસ્ત હોવાને કારણે બંને ટેસ્ટ મેચમાં રમે તેવી સંભાવના ઓછી લાગી રહી છે.
ન્યૂઝ એજન્સી PTI ના હવાલાથી BCCI ના એક સૂત્રએ જણાવ્યું કે, સંપૂર્ણ ફિટનેસ હાંસલ કર્યા પછી જ વોશિંગ્ટન બીજી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે. આ મહિનાની શરૂઆતમાં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સુંદરના પગમાં ઈજા થઈ હતી.
સૂત્રએ વધુમાં જણાવ્યું કે, ભારતનો પ્રમુખ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 30 જુલાઈ સુધી આરામ કરશે અને ત્યાર પછી બેંગલુરુમાં BCCI ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ માં રિપોર્ટ કરશે. ટોપ ઓર્ડર બેટ્સમેન સાઈ સુદર્શનની ઉપલબ્ધતા પણ તેની ફિટનેસ પર નિર્ભર કરે છે. જો કે, આ ડાબોડી બેટ્સમેન જલ્દી સાજો થઈ જવાની સંભાવના છે.
વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થઈને બહાર થયા પછી હવે ફિંગર સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજાને તક મળવી લગભગ નક્કી માનવામાં આવી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઈનલની રેસમાં બન્યા રહેવા માટે ભારતે શ્રીલંકા સામે આ ટેસ્ટ સિરીઝ કોઈ પણ ભોગે જીતવી પડશે.
ટીમની બેટિંગની વાત કરીએ તો, યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલનું ઓપનર તરીકે રમશે, તે લગભગ નક્કી છે. જો સાઈ સુદર્શન પૂરી રીતે ફિટ રહે છે, તો તે ત્રીજા નંબરે બેટિંગ કરશે. જો તે ફિટ નથી થઈ શકતો, તો તેની જગ્યાએ દેવદત્ત પડિક્કલને તક આપવામાં આવી શકે છે. ચોથા સ્થાને કેપ્ટન શુભમન ગિલ અને પાંચમા નંબરે વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત રમશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો, ત્યાં ટીમ India હાલમાં પાંચમા નંબરે છે. ભારતે આ સાયકલમાં અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેમને 4 માં જીત અને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય ટીમ હાલમાં 48.15 જીતની ટકાવારી સાથે પાંચમા સ્થાને છે. પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ, સાઉથ આફ્રિકા બીજા, ન્યુઝીલેન્ડ ત્રીજા અને બાંગ્લાદેશ ચોથા નંબરે છે.