ઓસ્ટ્રેલિયા સામે વનડે વિશ્વકપ ફાઈનલમાં ભારતીય ટીમે 241 રનનુ લક્ષ્ય નિર્ધારીત ઓવરના અંતે રાખ્યુ છે. ભારતીય ટીમ ટોસ હારીને બેટિંગ કરવા માટે મેદાને ઉતરતા વિશાળ સ્કોર ખડકવાના ઈરાદા સાથે ધમાકેદાર શરુઆત કરી હતી. જોકે રોહિત શર્માની વિકેટ બાદ આક્રમકતાને બદલે મક્કમ રમતની રણનિતી ટીમ ઈન્ડિયાના બેટર્સે અપનાવવાવી પડી હતી. જોકે ખાસ કરીને ફાઈનલ મેચમાં સૂર્યકુમારે પોતાના અંદાજ મુજબની રમત નહીં રમીને સૌને નિરાશ કરી દીધા છે.
સૂર્યકુમાર યાદવ પર ભારતીય ક્રિકેટ ચાહકોને આશા હતી. મહત્વની મેચમાં અત્યંત જરુરી સમયે જ સૂર્યાની રમત નિરાશાજનક રહી હતી. તેની બેટિંગ ખાસ નહીં રહેતા ભારતીય ટીમને માટે મુશ્કેલી ઉતરી આવી હોવાનો અહેસાસ સર્જાયો હતો. સૂર્યાએ ફાઈનલ મેચમાં માત્ર 18 રન જ નોંધાવ્યા હતા.
વનડે વિશ્વકપની ફાઈનલમાં સૂર્યા પાસેથી મહત્વની ઈનીંગની અપેક્ષા રાખવામાં આવી હતી. જોકે સૂર્યા ક્રિકેટ ચાહકો અને ટીમની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ નિવડ્યો હતો. અમદાવાદમાં તે પોતાના અસલી અંદાજ મુજબ ઈનીંગ રમી શક્યો નહોતો. સૂર્યાનો એક અલગ જ અંદાજ છે અને જે અંદાજ મુજબ તેની બેટિંગ જોવા મળી નહોતી. સૂર્યા પાસે પુરો મોકો હતો અને આમ છતાં તે મોકાનો ઉપયોગ કરી શક્યો નહોતો.
અત્યાર સુધીમાં ટીમ મેનેજમેન્ટે સૂર્યાને પૂરો મોકો આપ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ પણ તેને સાથ આપ્યો છે. આમ છતાં તે પોતાની પર રાખેલ ભરોસાને સાબિત કરવામાં સફળ રહ્યો નથી. સૌથી મોટી ટૂર્નામેન્ટ અને સૌથી મોટી મેચમાં જ તેણે ઘૂંટણ ટેકવતુ પ્રદર્શન કરીને નિરાશ કર્યા છે. આ સાથે જ હવે વનડે ક્રિકેટમાં સૂર્યાના કરિયર પર ખતરો મંડરાઈ ગયો છે. ખતરો સર્જાવાનુ કારણ પણ તેના ખરાબ આંકડા રહ્યા છે.
વર્તમાન વિશ્વકપમાં ભારતીય ટીમ તરફથી સૂર્યાને 7 વાર ઈનીંગનો મોકો મળ્યો છે. આ ઈનીંગમાં તે 2 વાર અણનમ પરત ફર્યો છે. જોકે તેણે ટૂર્નામેન્ટમાં માત્ર 107 રન જ નોંધાવ્યા છે. વિશ્વકપ 2023 માં તેના બેટ વડે સૌથી મોટી ઈનીંગ 49 રનની નોંધાઈ હતી. જ્યારે બાકીની અન્ય ઈનીંગમાં બાકીના 58 રન નોધાવ્યા છે.
ફાઈનલ મેચમાં સૂર્યાએ 28 બોલનો સામનો કરીને 18 રન નોંધાવ્યા હતા. જેમાં માત્ર એક જ ચોગ્ગો સૂર્યાના બેટથી જોવા મળ્યો હતો. સૂર્યાએ 64.29 ના સ્ટ્રાઈક રેટથી આ રન નોંધાવ્યા હતા. સૂર્યા પાસેથી અમદાવાદમાં મહત્વની મેચમાં તેના અસલી અંદાજ મુજબની બેટિંગની અપેક્ષા હતી. જેથી ઓસ્ટ્રેલિયા સામે લક્ષ્ય થોડુક વધારે મોટુ બનાવી શકાયુ હોત.
વનડે આંતરરાષ્ટ્રીયમાં સૂર્યાએ 37 મેચ રમી છે. જે મેચમાં 35 ઈનીંગ રમીને 773 રન નોંધાવ્યા છે. જેમાં તે 5 વાર અણનમ રહ્યો છે. સૂર્યાનો વનડે આંતરાષ્ટ્રીયમાં શ્રેષ્ઠ સ્કોર 72 રન નોંધાયો છે. જ્યારે સરેરાશ માત્ર 25.77 રહી છે. સૂર્યા વનડેમાં માત્ર 4 અડધી સદી નોંધાવી શક્યો છે. જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીયમાં તે 50 ઈનીંગમાં 15 અડધી સદી નોંધાવી ચૂક્યો છે.
Published On - 7:02 pm, Sun, 19 November 23