ભારતીય ક્રિકેટ (Team India) ટીમના બેટ્સમેન સુર્યકુમાર યાદવે (Surya Kumar Yadav) ભારતની 1000મી વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket) સામેની ત્રણ મેચની વન-ડે સીરિઝમાં પહેલી મેચમાં 6 વિકેટની જીતમાં મહત્વની ભુમિકા ભજવી હતી. આ શાનદાર જીતની સાથે ભારતીય ટીમ હવે વન-ડે સીરિઝમાં 1-0થી આગળ છે.
પહેલા બેટિંગ કરવા ઉતરેલ વેસ્ટ ઇન્ડિઝ ટીમે જીત માટે ભારતને 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં સુકાની રોહિત શર્મા (51 બોલમાં 60 રન), ઇશાન કિશન (36 બોલમાં 28 રન), દીપક હુડા (32 બોલમાં અણનમ 26* રન) અને સુર્યકુમાર યાદવ (36 બોલમાં અણનમ 34* રન) ના પ્રયાસોની મદદથી ભારતીય ટીમે 28 ઓવરમાં જીતનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો.
આ મેચમાં સુર્યકુમાર યાદવે પોતાની 34 રનની અણનમ ઇનિંગ દરમ્યાન 5 ચોગ્ગા ફટકાર્યા હતા અને પાંચમી વિકેટ માટે દીપક હુડ્ડા (26*) સાથે 62 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી અને ભારતને 1000મી વન-ડે મેચમાં જીત અપાવી હતી. મેચ સમયે સુર્યકુમાર યાદવ અને વેસ્ટ ઇન્ડિઝના સુકાની પોલાર્ડ વચ્ચે વાતચીતને ટીવી અને અન્ય માધ્યમોથી જોઇ રહેલ દર્શકોનું ધ્યાન ખેચ્યું હતું. તેને જોતા મેચ બાદ સુર્યકુમાર યાદવે મહત્વનો ખુલાસો કર્યો છે.
સુર્યકુમાર યાદવે મેચ દરમ્યાન પોલાર્ડ સાથે થયેલ વાતચીત અંગે માહિતી આપી
તમને જણાવી દઇએ કે સુર્યકુમાર યાદવ અને પોલાર્ડ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી સાથે રમે છે. મુંબઈ ટીમે આગામી આઈપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા આ બંને ખેલાડીઓને રીટેન કર્યા છે.
સુર્યકુમાર યાદવ અને પોલાર્ડ મુંબઈ ટીમ તરફથી લાંબા સમયથી આઈપીએલમાં રમે છે. જેથી એક-બીજાના રમવાના અંદાજને સારી રીતે જાણે છે અને પહેલી વન-ડે સમયે વેસ્ટ ઇન્ડિઝના સુકાની પોલાર્ડ ભારતના સુર્યકુમાર યાદવે હવામાં ફ્લિક શોટ રમવા માટે ઉકસાવી રહ્યો હતો.
સુર્યકુમાર યાદવે પોસ્ટ મેચ કોન્ફરન્સમાં હસતા-હસતા કહ્યું કે પોલાર્ડે મેચ સમયે વાતો પણ કરી હતી. પોલાર્ડે તેને કહ્યું હતું કે મિડવિકેટ ખુલ્લુ છે, તમે આઈપીએલની જેમ ફ્લિક કેમ નથી કરતા. એ દિશામાં શોટ કેમ ફટકારતા નથી. સુર્યકુમાર યાદવે જણાવ્યું કે તેણે આવો શોટ આઈપીએલમાં રમ્યો હતો અને પોલાર્ડ તેની પાસેથી વન-ડેમાં પણ આવા જ શોટની આશા રાખી રહ્યા હતા. પણ તે વેસ્ટ ઇન્ડિઝ સામે અલગ પ્રકારની બેટિંગ કરવા માંગતો હતો અને અણનમ રહીને ટીમને જીતાડવા માંગે છે.
તેણે વધુમાં જણાવ્યું કે ઝાકળ આવવાથી બોલરોને થોડી તકલીફ પડી હતી. બપોરે વિકેટ થોડી ધીમી હતી, પણ ઝાકળના કારણે બેટ્સમેનો માટે લક્ષ્યાંક પાર પાડવા માટે થોડું સહેલું થઇ ગયું હતું.
આ પણ વાંચો : INDvWI: વિરાટ કોહલી જલ્દી તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ, આ મામલામાં જયસુર્યા ટોચ પર
આ પણ વાંચો : INDvWI: બીજી વન-ડેમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ નહીં કરે ઈશાન કિશન? આ ખેલાડી વાપસી કરશે