
ભારતીય ટીમ વનડે વિશ્વકપમાં શાનદાર દેખાવ કર્યો હતો. સેમીફાઈનલ સુધીની તમામ મેચ ભારતીય ટીમના નામે રહી હતી. જે કોઈ પણ મેદાને ઉતર્યુ એ ટીમના ભારતે હાલ ખરાબ કરી દીધા હતા. પાકિસ્તાનની સ્થિતિ પણ સાવ ખરાબ કરી દીધી હતી. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે વનડે ક્રિકેટ વિશ્વકપમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ, જોકે ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે ભારતીય ટીમ T20 વિશ્વકપની તૈયારીઓમાં હવે વ્યસ્ત બની જશે.
આ પહેલા જ પાકિસ્તાનથી ભારતીય ટીમને માટે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે તો ભારતના આ બંને સ્ટાર ખેલાડીઓને લઈ સલાહો પણ આપી દીધી છે. અકરમનુ માનવુ છે કે, ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓએ આગામી T20 વિશ્વકર રમવો જોઈએ.
રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટથી દૂર છે. જોકે આ પહેલા વનડે વિશ્વકપ હોવાને લઈ એમ પણ કહેવામા આવી રહ્યુ હતુ કે, તેઓ તૈયારીના ભાગરુપે T20 ફોર્મેટથી દૂર છે. હવે વિશ્વકપ બાદ કેપ્ટન રોહિત શર્માને લઈ ચર્ચાઓ શરુ થઈ છે કે, ભારતીય સુકાની રોહિત શર્મા ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહી છે.
આ દરમિયાન હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે એક ચર્ચા શરુ કરી છે. તેનુ કહેવુ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આગામી T20 વિશ્વકપ 2024 માં રમવા માટે મેદાને ઉતરવુ જોઈએ. આ બંને સ્ટાર ખેલાડીઓ ગત વર્ષ રમાયેલા T20 વિશ્વકપ 2022 બાદ થી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની ભારતીય ટીમનો હિસ્સો નથી.
એક રિપોર્ટમાં બતાવ્યુ છે કે, વસીમ અકરમે વાતચીતમાં બતાવ્યુ હતુ કે, હવે T20 વિશ્વકપને આડે થોડાક જ મહિનાઓ છે. હું બંને બેટર્સને પસંદ કરીશ. તે બંને બેટર્સ ભારત માટે મુખ્ય ખેલાડીના રુપમાં હશે એમાં કોઈ શંકા નથી. T20માં તમારે થોડાક અનુભવની જરુર હોય છે, આપ માત્ર યુવા ખેલાડીઓ પર જ ભરોસો કરી શકો નહીં.
T20 ફોર્મેટમાં આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં રોહિત શર્મા 148 મેચ રમી ચૂક્યો છે. આ મેચમાં તે 3853 રન નોંધાવી ચૂક્યો છે. આ દરમિયાન હિટમેને 4 સદી અને 29 અડધી સદી નોંધાવી છે. જ્યારે તે આઈપીએલમાં પણ 5 વાર ટ્રોફી પોતાની આગેવાનીમાં ટીમને જીતાડી ચૂક્યો છે.
વિરાટ કોહલી 115 આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે. કોહલી 4008 રન નોંધાવી ચૂક્યો છે. આ દરમિયાન કોહલીના બેટથી 1 સદી અને 37 અડધી નીકળી છે. કોહલીનો સ્ટ્રાઈક રેટ પણ 137.96 રહ્યો છે.
Published On - 4:42 pm, Fri, 24 November 23