IND vs SL: રોહિત શર્મા માટે શ્રીલંકાનો આ બોલર બન્યો માથાનો દુઃખાવો, હિટમેનને T20 સિરીઝમાં પરેશાન કરી દીધો

રોહિત શર્મા (Rohit Sharma) એ રવિવારે મેદાન પર ઉતરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો અને તે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડી બની ગયો પરંતુ તે બેટથી કમાલ કરી શક્યો નહીં.

IND vs SL: રોહિત શર્મા માટે શ્રીલંકાનો આ બોલર બન્યો માથાનો દુઃખાવો, હિટમેનને T20 સિરીઝમાં પરેશાન કરી દીધો
Rohit Sharma અંતિમ મેચમાં 5 રન જ કર્યા હતા
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:37 AM

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) શ્રીલંકાને ત્રણ મેચની T20 શ્રેણી માં 3-0 થી હરાવ્યું હતું. આ પહેલા ભારતે વેસ્ટ ઈન્ડિઝને પણ 3-0 થી હરાવ્યું હતું. આ સિરીઝમાં રોહિત શર્મા (Rohit Sharma) ફુલ ટાઈમ કેપ્ટન તરીકે ઉતર્યો હતો અને તે સફળ પણ રહ્યો હતો. રવિવારે ફરીથી રોહિતે તેની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીત તરફ દોરી, પરંતુ તે બેટથી કમાલ કરી શક્યો નહીં. આ જમણા હાથનો બેટ્સમેન માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો હતો. જો કે રોહિત દુનિયાભરના બોલરો માટે ડરનું બીજુ નામ છે, પરંતુ ટી-20માં એક બોલર તેને સતત પરેશાન કરી ચુક્યો છે. ધર્મશાળામાં અંતિમ મેચમાં પણ તે બોલરે રોહિતની વિકેટ લીધી હતી. આ બોલર છે દુષ્મંથા ચમીરા (Dushmantha Chameera). જેનાથી હિટમેન સિરીઝમાં પરેશાન દેખાયો છે.

રોહિતે રવિવારે મેદાન પર પગ મૂકતાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. રોહિતની આ 125મી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી અને તે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે પાકિસ્તાનના શોએબ મલિકને પાછળ છોડી દીધો છે. પરંતુ રોહિત બેટિંગમાં નિષ્ફળ રહ્યો હતો.

રોહિત ફરીથી ચમીરાના બોલ પર આઉટ થયો હતો

આ મેચમાં રોહિત સંજુ સેમસન સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. તેણે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર બિનુરુ ફર્નાન્ડો પર ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ તે આગલી જ ઓવરમાં આઉટ થયો હતો. ચમીરાનો બોલ થોડો વધુ ઉછળ્યો અને બોલ રોહિતના બેટની ઉપરની કિનારી સાથે હવામાં ગયો. કરુણારત્નેએ રોહિતનો કેચ લેવામાં કોઈ ભૂલ કરી ન હતી. T20 ઇન્ટરનેશનલમાં આ છઠ્ઠી વખત હતું જ્યારે રોહિત ચમીરા દ્વારા આઉટ થયો હતો.

બીજી મેચમાં પણ ચમીરાએ રોહિતને બોલ્ડ કર્યો હતો. ચમીરાએ પહેલા જ ઓવરના છેલ્લા બોલ પર ભારતીય કેપ્ટનનો દાંડિયા ઉડાવી દીધા હતા. તે મેચમાં રોહિતે એક રન બનાવ્યો હતો. રોહિતે પ્રથમ મેચમાં 44 રન બનાવ્યા હતા.

શ્રેયસ અય્યર ચમક્યો

રોહિત ટીમનો મુખ્ય બેટ્સમેન છે. તેના વહેલા આઉટ થવાને કારણે ભારતીય ટીમ પર સંકટ સર્જાયું હતું, પરંતુ ત્રીજા નંબર પર વિરાટ કોહલીની જગ્યાએ રમી રહેલા શ્રેયસ અય્યરે શ્રીલંકાને તેનો ફાયદો ઉઠાવવા દીધો ન હતો. શ્રેયસ અય્યર અણનમ પરત ફર્યો હતો અને ટીમને વિજય અપાવ્યા બાદ જ તેણે રાહતનો શ્વાસ લીધો હતો. આ જમણા હાથના બેટ્સમેને અણનમ 73 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં અય્યરે 45 બોલનો સામનો કર્યો અને નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. શ્રેયસ અય્યર આ સમગ્ર શ્રેણીમાં અણનમ રહ્યો હતો. તેણે આ શ્રેણીની ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી હતી.

 

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકાના પણ કર્યા સુપડા સાફ, ભારતે વેસ્ટ ઇન્ડિઝ બાદ વધુ એક T20 સિરીઝ 3-0 થી જીતી, શ્રેયસની શાનદાર ફીફટી

આ પણ વાંચોઃ Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

 

 

Published On - 9:36 am, Mon, 28 February 22