
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સ્ટાર ખેલાડી એમએસ ધોની હાલમાં તેના વતન રાંચીમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. શનિવારે, ધોની તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે રાંચી નજીક મા દેવરી મંદિર પહોંચ્યો હતો, જ્યાં તેણે પ્રાર્થના કરી અને માતાના આશીર્વાદ લીધા. આ દરમિયાન, મંદિર પરિસરમાં ધોનીના ચાહકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેઓ ધોનીની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત દેખાતા હતા.
IPL 2025ની નિરાશાજનક સિઝન પછી ધોની તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે, તેણે આ વખતે પણ પોતાની શ્રદ્ધા જાળવી રાખી. રાંચીથી લગભગ 60 કિમી દૂર તામર વિસ્તારના દેવરી ગામમાં સ્થિત મા દેવરી મંદિર, ધોની માટે ખાસ મહત્વ ધરાવે છે. તેણે તેના પરિવાર સાથે મંદિરમાં મા દેવરીની 700 વર્ષ જૂની 16 હાથવાળી મૂર્તિના દર્શન કર્યા. ધોની, સાક્ષી અને જીવાએ પૂજામાં ભાગ લીધો અને ત્રણેયે માતા સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરી.
ધોનીના મંદિર પહોંચવાના સમાચાર ફેલાતાં જ તેના ચાહકો ત્યાં પહોંચી ગયા. મંદિર પરિસરમાં ચાહકોની ભીડ તેની એક ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોની અને મા દેવડી મંદિરનો એટલો અનોખો સંબંધ છે કે જ્યારે પણ ધોની રાંચીમાં હોય છે, ત્યારે તે રાંચીથી દેવડી માના દરબારમાં દર્શન કર્યા વિના પાછો ફરતો નથી. ધોની આ પહેલા પણ ઘણી વખત આ મંદિરમાં પૂજા કરતો જોવા મળ્યો છે.
મા દેવરીનું મંદિર 700 વર્ષથી વધુ જૂનું છે. આ મંદિર ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યું તે હજુ પણ લોકોમાં એક રહસ્ય છે. માન્યતા અનુસાર, જે પણ ભક્ત સાચા હૃદયથી આ મંદિરમાં આવે છે અને માતાને પ્રાર્થના કરે છે, તેની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થાય છે. ધોની લગભગ દર વર્ષે અહીં આવે છે.
આ પણ વાંચો: મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું, સ્ટાર ફાસ્ટ બોલરની IPL 2025 પછી પહેલીવાર થઈ પસંદગી
Published On - 8:19 pm, Sat, 19 July 25