
IPL 2023ની સિઝન પહેલા અને ટૂર્નામેન્ટ વચ્ચે ઘણા મોટા ખેલાડીઓ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આમાં લેટેસ્ટ નામ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું છે. જાંઘમાં ઈજાના કારણે રાહુલ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. લખનૌએ હવે તેના સ્થાને એક નવા ખેલાડીને સાઇન કયો છે, જે રાહુલનો મિત્ર છે. રાહુલની જગ્યાએ કરુણ નાયરને તક મળી છે.
આ પણ વાંચો: IPL 2023 MI vs CSK: રોહિત શર્મા 0 પર આઉટ થતા ટ્વિટર પર મીમ્સનો વરસાદ
1 મેના રોજ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે રાહુલને જાંઘમાં ઈજા થઈ હતી. જેના કારણે તે આગામી મેચમાં પણ રમી શક્યો ન હતો. હવે શુક્રવારે રાહુલે પોતે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તે IPLમાંથી બહાર છે. રાહુલની જગ્યાએ કૃણાલ પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
હવે રાહુલના સ્થાને લખનૌએ કર્ણાટક ક્રિકેટના પોતાના મિત્ર કરુણ નાયરને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સાઈન કર્યા છે. કરુણ નાયરને 50 લાખની બેઝ પ્રાઈઝ પર સાઈન કરવામાં આવ્યો છે. નાયર ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો પરંતુ આ વખતે તેને કોઈ ટીમે ખરીદ્યો ન હતો.
ગયા વર્ષે જ નાયરે એક ઈમોશનલ ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું હતું- ‘ડિયર ક્રિકેટ, મને વધુ એક તક આપો’. ગયા વર્ષે ઓગસ્ટથી ક્રિકેટ મેચ ન રમનાર નાયરને આખરે બીજી તક મળી છે.
31 વર્ષીય નાયર IPLમાં અત્યાર સુધી 4 ટીમો માટે કુલ 76 મેચ રમી ચૂક્યો છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. તેના નામે 1496 રન છે. ગત સિઝનમાં તેને KKR માટે 3 મેચ રમવાની તક મળી હતી પરંતુ તે માત્ર 16 રન જ બનાવી શક્યો હતો.
નાયરને તેની ત્રિપલ સદી માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. 2016માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર નાયરે પોતાની ત્રીજી મેચમાં જ ઈંગ્લેન્ડ સામે 303 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર તે માત્ર બીજો ભારતીય બેટ્સમેન હતો. જોકે તે ભારત માટે માત્ર 6 મેચ જ રમી શક્યો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2017માં રમી હતી, ત્યારબાદ તેને ટીમ ઈન્ડિયામાં ફરી તક નથી મળી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…