
IPLમાં સોમવારે RCB અને LSG વચ્ચેના મુકાબલામાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલ ઝગડા અંગે દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમના મતે બંને ખેલાડી પર જે દંડ કરવામાં આવ્યો તે યોગ્ય છે પરંતુ પૂરતો નથી. આવી હરકત કરનાર ખેલાડીને તો સસ્પેન્ડ જ કરવો જોઈએ એમ કહી તેમણે કોહલી પર નિશાન સાધ્યું હતું.
લખનૌના એકના સ્ટેડિયમમાં મેચ બાદ જે ઘટના બની એ નીંદનિય હતી. બે ખેલાડીઓ વચ્ચે મેચ બાદ જે બોલાચાલી થઈ તેને લઈ વિશ્વભરમાં ક્રિકેટની છબીને અસર થઈ છે. કોહલી અને ગંભીર વચ્ચેના વિવાદ બાદ BCCIએ પણ કડક પગલાં ભરતા બંને ખેલાડીઓને દંડ કર્યો હતો.લેજેન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કરે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે BCCIએ જે દંડ ફરકાર્યો હતો તેના પર પ્રશ્ન કર્યો હતો કે શું ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય તેની ખાતરી આપવા માટે દંડ પૂરતો છે?
BCCIએ મંગળવારે ગંભીર અને કોહલી પર આચાર સંહિતાના ભંગ બદલ સમગ્ર 100 ટકા મેચ ફીનો દંડ કર્યો હતો. જો કે, ગાવસ્કરે આ અંગે પ્રતિક્રિયા આપતા ભવિષ્યમાં આવી લડાઈઓ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં લેવાની હાકલ કરી હતી અને કેટલીક મેચ માટે સસ્પેન્શનની માંગ કરી હતી, જેથી તેમની સંબંધિત ટીમોને પણ નુકસાન સહન કરવું પડે.
પોતાના સમયના સર્વશ્રેષ્ઠ બેટર સુનિલ ગાવસ્કરે આ અગાઉ પણ કોહલી અને ગંભીરના આક્રમક વલણની ટીકા કરી હતી. કોહલીને લઈ તેઓ અનેકવાર પોતાના અભિપ્રાયો આપી ચૂક્યા છે. મેદાનમાં કોહલીના ગુસ્સાની સાથે તેની બેટિંગને લઈને પણ તેઓ વારંવાર કોમેન્ટ કરતાં જ રહે છે.
કોહલીની બેટિંગની આલોચના કરવામાં ગાવસ્કર ક્યારેય પાછળ રહેતા નથી. વિરાટ અને અનુષ્કાના લગ્ન બાદ જ્યારે કોહલી ખરાબ ફોર્મથી પરેશાન હતો ત્યારે પણ ગાવસ્કરે અનેકવાર કોહલી અંગે નિવેદનો આપ્યા હતા. કોમેન્ટરી કરતી વખતે પણ ગાવસ્કરે કોહલીને લઈ વિવાદિત નિવેદનો આપ્યા હતા. એવામાં ગંભીર સાથે કોહલીના વિવાદ બાદ ગાવસ્કરે ફરી કોહલી પર નિશાન સાધ્યું છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…