ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં સદી ફટકારી વનડે ક્રિકેટમાં સદીઓનો મહા રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. બુધવારનો દિવસ વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ રહ્યો હતો, કારણેકે તેણે પોતાના આદર્શ સચિન તેંડુલકર સામે તેમના જ હોમ ગ્રાઉન્ડ પર 50 વનડે સદીની સિદ્ધિ હાંસલ કરી હતી. વિરાટની આ ઉપલબ્ધિ પાછળ અથાક મહેનતની સાથે ક્રિકેટ પ્રત્યેનો તેનો પ્રેમ જવાબદાર છે.
વિરાટની આવી જ અનેક યાદગાર ઈનિંગ અને અદ્રિતીય સફળતાના સાક્ષી રહેનાર તેના સાથી ખેલાડી ઈશાંત શર્માએ એક શો દરમિયાન વિરાટ કોહલીની સફળતા અને તેની પાછળની એવી કહાની વિશે વાત કહી હતી, જેના વિશે માત્ર વિરાટના ખૂબ જ નજીકના લોકો જ જાણતા હતા. ઈશાંત શર્માની આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
ઈશાંત શર્માએ ટીઆરએસ હિન્દીના પોડકાસ્ટ શો દરમિયાન વિરાટ વિશે વાત કરતા જણાવ્યુ હતું કે, એક દિવસ વિરાટ મેદાનમાં શાંત બેઠો હતો, ત્યારે ઈશાંત વિરાટ પાસે ગયો અને તેની સાથે મસ્તી કરવાનો પ્રયત્ન કર્યો, જોકે વિરાટે કોઈ અભિપ્રાય ન આપ્યો, ત્યારે ઈશાંતે અન્ય સાથી ખેલાડીને વિરાટના શાંત રહેવા અંગે પૂછ્યું ત્યારે ઈશાંતને ખબર પડી કે એક દિવસ પહેલા જ વિરાટના પિતાનું મૃત્યુ થયું હતું.
એક દિવસ પહેલા જ વિરાટ કોહલીના પિતાનું મૃત્યુ થયું હતું અને બીજા જ દિવસે તે ક્રિકેટના મેદાનમાં પ્રેક્ટિસ માટે હાજર રહ્યો હતો. આ સાંભળીને ઈશાંત શર્મા પણ શાંત થઈ ગયો અને કઈં વધુ બોલી ના શક્યો. આ ઘટના અંગે શો માં વાતચીત કરતી વખતે પણ ઈશાંતના અવાજમાં વિરાટ પ્રત્યે નમ્રતાની સાથે માન છલકતું હતું. ઈશાંતે વધુમાં જણાવ્યું હતું કે જો તે વિરાટની જગ્યાએ હોત તો બીજા જ દિવસે મેદાનમાં પરત ફરી પ્રેક્ટિસ ન કરી શક્યો હોત.
પિતાનું મૃત્યુનો દિવસ વિરાટ કોહલીના જીવનનો સૌથી દુઃખદ દિવસ હતો, છતાં તે બીજા જ દિવસે મેદાનમાં પ્રેક્ટિસ માટે હાજર હતો એ તેનો ક્રિકેટ પ્રેમ દર્શાવે છે. અને આ જ મહેનતના ફળ સ્વરૂપે વિરાટ કોહલી આજે વિશ્વ ક્રિકેટમાં રન મશીન, રેકોર્ડ બ્રેકર અને ‘કિંગ કોહલી’ના નામથી ઓળખાય છે.
આ પણ વાંચો: ભારત-ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલ મેચ 5.3 કરોડ લોકોએ લાઈવ જોઈ, બન્યો નવો રેકોર્ડ