IND vs SA: વિરાટ કોહલી અને ધોની નથી કરી શક્યા એ કમાલ ઋષભ પંત કરી દેખાડશે? તો આમ કરનારો પહેલો સુકાની હશે

જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પ્રથમ બે મેચ હારી ગયું હતું ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ શ્રેણી સરળતાથી દક્ષિણ આફ્રિકા (South Africa Cricket Team) ના નામે થઈ જશે, પરંતુ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને શ્રેણીમાં બરાબરી કરી લીધી છે.

IND vs SA: વિરાટ કોહલી અને ધોની નથી કરી શક્યા એ કમાલ ઋષભ પંત કરી દેખાડશે? તો આમ કરનારો પહેલો સુકાની હશે
Rishabh Pant પાસે મોટી સિદ્ધી મેળવવાની તક
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:52 AM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે 5 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી ઘર આંગણે રમાઈ રહી છે. પ્રથમ ચાર મેચ દિલ્હી, કટક, વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં રમાઈ ચુકી છે. હવે સૌની નજર બેંગ્લુરુ પર છે. કારણ કે આ મેચ સિરીઝની જીત નક્કી કરશે. સિરીઝ 2-2 થી બરાબરી પર છે. દક્ષિણ આફ્રિકાએ અગાઉના રેકોર્ડ મુજબ જ પોતાના પ્રદર્શનની શરુઆત કરી પ્રથમ બંને ટી20 મેચ જીતી લીધી હતી અને સિરીઝ પોતાના કબ્જામાં કરવાથી માત્ર એક જ મેચ દુર રહી હતી. ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાની ધરાવતી ટીમ ઈન્ડિયાએ વિઝાગ અને રાજકોટમાં જબરદસ્ત પ્રદર્શન વડે શ્રેણી બરાબર કરી લીધી છે. હવે શ્રેણી વિજેતા બનવા માટે ટીમ ઈન્ડિયા (Team India) એ બેંગ્લુરુમાં પુરો દમ લગાવી દેવો પડશે, આ સાથે જ ઈતિહાસ પણ બદલાઈ જશે અને પંતના નામે એવી સિદ્ધી લખાઈ જશે જે કોહલી અને ધોની પણ કરી શક્યા નથી.

ધોની ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન છે. તો વિરાટ કોહલી પણ ભારતીય ક્રિકેટનો સફળ કેપ્ટનમાંથી એક છે. આ બંને કેપ્ટનો સફળ હોવા છતાં ટીમ ઈન્ડિયા માટે જે કામ દક્ષિણ આફ્રિકા સામે નથી કરી શક્યા એ કામ નવો સવો ભારતીય ટીમનો હંગામી કેપ્ટન ઋષભ પંત કરી શકે છે. પંત હાલમાં ટી20 શ્રેણીમાં ભારતનો કેપ્ટન છે. જે ભૂમિકા અગાઉ કેએલ રાહુલની રહેવાની હતી પરંતુ ઈજાને લઈ તે સિરીઝની શરુઆત પહેલા જ ટીમથી અલગ થઈ ગયો હતો.

ભારત માટે આ શ્રેણીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શરૂઆતની બંને મેચમાં તેનો પરાજય થયો હતો. અહીં એવું લાગી રહ્યું હતું કે જે કામ અત્યાર સુધી નથી થયું તે આ વખતે પણ નહીં થાય, પરંતુ પંતની કેપ્ટનશીપમાં ભારતે આગામી બે મેચ જીતીને શ્રેણી બરોબરી કરી લીધી છે અને હવે તે શ્રેણી જીતવાની નજીક છે. જો ભારત આ શ્રેણી જીતશે તો તે પ્રથમ વખત બનશે કે તે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે T20 શ્રેણી જીતશે. આ પહેલા ભારતીય ટીમ બે વખત આમ કરવામાં નિષ્ફળ રહી છે.

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં હાર

દક્ષિણ આફ્રિકાએ 2015માં ભારતમાં તેની પ્રથમ T20 શ્રેણી રમી હતી. ત્રણ મેચની આ શ્રેણીમાં ભારતને 2-0 થી હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 2 ઓક્ટોબર, 2015ના રોજ ધર્મશાલામાં રમાયેલી પ્રથમ T20માં ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. 5 ઓક્ટોબરે કટકમાં રમાયેલી બીજી મેચમાં મુલાકાતી ટીમે છ વિકેટે જીત મેળવી હતી. ત્રીજી મેચ કોલકાતામાં હતી જે એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો.

કોહલીની કેપ્ટનશિપમાં પણ નિરાશા જોવા મળી

દક્ષિણ આફ્રિકાની ટીમ 2019માં ફરી એકવાર ભારતની મુલાકાતે આવી હતી અને આ વખતે પણ ભારત તેને હરાવી શક્યું નથી. શ્રેણીની પ્રથમ મેચ 15 સપ્ટેમ્બર 2019ના રોજ ધર્મશાલામાં રમાઈ હતી પરંતુ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. બીજી T20 મેચ 18 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં પણ ભારતનો સાત વિકેટે પરાજય થયો હતો.

બેંગ્લુરુમાં 22 સપ્ટેમ્બરે રમાયેલી ત્રીજી અને છેલ્લી મેચમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત આ મેચ નવ વિકેટથી હારી ગયું હતું અને તેની સાથે શ્રેણી હારી ગઈ હતી. જો ભારત રવિવારની મેચમાં જીત મેળવે છે, તો તે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે તેની પ્રથમ T20 શ્રેણી જીતશે અને આ બધું પંતની કેપ્ટનશીપમાં થશે.

Published On - 8:51 am, Sun, 19 June 22