25 નવેમ્બર, 2021 એ શ્રેયસ અય્યર (Shreyas Iyer) ના જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આ તે તારીખ છે જ્યારે શ્રેયસ અય્યર ભારત (Team India) નો 303મો ટેસ્ટ ખેલાડી બન્યો અને આ સાથે જ તેના માતા-પિતાનું સપનું સાકાર થયું. શ્રેયસ અય્યરે કાનપુર ટેસ્ટ (Kanpur Test) માં ડેબ્યૂ કર્યું હતું અને સુનીલ ગાવસ્કરે આ ખેલાડીને ડેબ્યૂ કેપ આપી હતી. આ પછી ઐય્યર બેટિંગ કરવા આવ્યો અને પોતાની ડેબ્યૂ ઇનિંગમાં તેણે શાનદાર અડધી સદી પણ ફટકારી.
અય્યરે માત્ર ટેસ્ટમાં જ ડેબ્યુ કર્યું એટલું જ નહીં પરંતુ ક્રિકેટરના માતા-પિતાનું સપનું પણ સાકાર થયું. અય્યરના પિતા સંતોષ અય્યરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભલે તેમના પુત્રએ ભારત માટે ODI અને T20માં ડેબ્યુ કર્યું હોય, પરંતુ તેઓ શ્રેયસ અય્યરને ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા ઈચ્છતા હતા. આખરે એ સપનું સાકાર થયું.
સંતોષ અય્યરે મીડિયામાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે છેલ્લા ચાર વર્ષથી તેના વોટ્સએપ એકાઉન્ટ પર એ જ ડીપી પોસ્ટ કરી હતી, જેમાં ઓસ્ટ્રેલિયામાંથી ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ શ્રેયસ અય્યર ટ્રોફી પકડી રહ્યો હતો. વર્ષ 2017માં તે શ્રેણીમાં અય્યર ચોક્કસપણે ટેસ્ટ ટીમનો ભાગ હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. આ પછી ઐયરને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો અને હવે શ્રેયસને ચાર વર્ષ પછી ડેબ્યૂ કરવાની તક મળી.
પુત્રના ડેબ્યૂ પર સંતોષ અય્યરે કહ્યું, ‘ટેસ્ટ ક્રિકેટ જ વાસ્તવિક ક્રિકેટ છે. હું હંમેશા શ્રેયસને ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા માંગતો હતો. આજે એ સપનું સાકાર થયું છે. હું અને મારી પત્ની ખૂબ ખુશ છીએ. છેલ્લા ચાર વર્ષથી મારા વ્હોટસેપમાં એ જ ડીપી હતી, જેમાં શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની ટ્રોફી ઉપાડી હતી. મેં તેને બદલી નથી કારણ કે હું ઇચ્છતો હતો કે તસ્વીર તેને તેના ધ્યેયની યાદ અપાવે.
શ્રેયસ અય્યરના પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર હંમેશા ટેસ્ટ ક્રિકેટર બનવામાં વિશ્વાસ રાખતો હતો. શ્રેયસ ઘણીવાર તેના પિતાને કહેતો કે તે દિવસ આવશે જ્યારે તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમશે. જોકે તેના માતા-પિતાને ખ્યાલ નહોતો કે તેમનો પુત્ર કાનપુર ટેસ્ટમાં જ ડેબ્યૂ કરશે. શ્રેયસ અય્યરે તેની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં બતાવ્યું કે તે લાંબી રેસનો ઘોડો છે. અય્યરે અણનમ 75 રન બનાવ્યા હતા અને હવે એવી આશા છે કે તે બીજા દિવસે પણ સદી ફટકારશે.
Published On - 7:18 pm, Thu, 25 November 21