IND vs NZ: આ ભારતીય જોડી ટીમ ઇન્ડિયાની જીતની બની દુશ્મન! અંતિમ ત્રીસ મિનિટ બોલરોને બનાવી દીધા બેઅસર

India vs New Zealand, 1st Test: ન્યુઝીલેન્ડે કાનપુર ટેસ્ટ ડ્રો કરી, ટીમ ઈન્ડિયા છેલ્લી વિકેટ લઈ શકી નહીં

IND vs NZ: આ ભારતીય જોડી ટીમ ઇન્ડિયાની જીતની બની દુશ્મન! અંતિમ ત્રીસ મિનિટ બોલરોને બનાવી દીધા બેઅસર
India vs New Zealand
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:21 PM

ટેસ્ટ મેચના પાંચમા દિવસે, વિકેટ પર અસમાન ઉછાળ, વિલિયમસન, લાથમ અને ટેલર જેવા બેટ્સમેન આઉટ થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા કાનપુર ટેસ્ટ (India vs New Zealand, 1st Test) જીતી શકી ન હતી. કાનપુર ટેસ્ટ (Kanpur Test) માં ન્યુઝીલેન્ડના પૂંછડીના બેટ્સમેનોએ સંયમ અને ઉત્કૃષ્ટ રક્ષણાત્મક ટેકનિક દર્શાવીને પોતાની હાર ટાળી હતી. ભારતે ન્યુઝીલેન્ડની 9મી વિકેટ 89.2 ઓવરમાં જ પાડી દીધી હતી પરંતુ રમતના અંત સુધી ટીમ ઈન્ડિયા (Team India) તેની અંતિમ જોડીને આઉટ કરી શકી ન હતી.

ન્યૂઝીલેન્ડ (New Zealand Cricket Team) ની છેલ્લી જોડી માત્ર બે ભારતીય મૂળના ખેલાડીઓ હતી, જેમણે 52 બોલ સુધી વિકેટ પર પોતાના પગ રાખ્યા હતા અને તે પછી મેચ ડ્રો થઈ હતી.

વાત કરી રહ્યા છીએ રચીન રવિન્દ્ર (Rachin Ravindra ) અને એજાઝ પટેલ (Ajaz Patel) ની જેમણે 52 બોલમાં 10 રનની અજેય ભાગીદારી કરી હતી. બંને બેટ્સમેનોએ મુશ્કેલ પીચ પર આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની બોલિંગ રમી હતી અને તેમ છતાં પણ તેમની વિકેટ આપી ન હતી. રચિન રવિન્દ્રએ 91 બોલમાં 18 રન જ્યારે એજાઝ પટેલે 23 બોલમાં 2 રન બનાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે રચિન અને એજાઝ બંને ભારતીય મૂળના ખેલાડી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ રચિનની ટેસ્ટ ડેબ્યૂ હતી અને એજાઝ પટેલ પણ ભારતીય ધરતી પર પહેલીવાર ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આવો અમે તમને રચીન રવીન્દ્ર અને એજાઝ પટેલ વિશે જણાવીએ… જાણીએ કે આ બે કીવી ખેલાડીઓનો ભારત સાથે શું સંબંધ છે?

 

કોણ છે રચિન રવિન્દ્ર?

રચિન રવિન્દ્રનું નામ બે ભારતીય દિગ્ગજોના નામ પરથી લેવામાં આવ્યું છે. રચિનના પિતા રવિ કૃષ્ણમૂર્તિએ રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના નામને જોડીને તેનું નામ રાખ્યું છે. રચિનના પિતાએ રાહુલ દ્રવિડના નામના અંગ્રેજી અક્ષર RA અને સચિનના નામના છેલ્લા 4 અક્ષર CHIN નું મિશ્રણ કરીને તેનું નામ RACHIN રાખ્યું. રચિન એક ઉત્તમ ઓલરાઉન્ડર અને ડાબોડી બેટ્સમેન અને બોલર છે. તેની ડિફેન્સિવ ટેક્નિક જોઈને આ ખેલાડીને કાનપુર ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી અને તેણે પોતાની ટીમને નિરાશ ન કર્યો.

કોણ છે એજાઝ પટેલ?

એજાઝ પટેલે પણ ટીમ ઈન્ડિયા પાસેથી વિજય છીનવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે એજાઝ પટેલનો જન્મ મુંબઈમાં થયો હતો અને જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો. એજાઝ પટેલ પ્રથમ ડાબોડી ફાસ્ટ બોલર હતો પરંતુ અંડર-19 ટીમમાં સ્થાન ન મળતા તેણે ડાબોડી સ્પિન શરૂ કરી હતી. આ પછી તેની કારકિર્દી બદલાઈ ગઈ અને તેણે પાકિસ્તાન સામેની ડેબ્યૂ મેચમાં 7 વિકેટ ઝડપી અને તે મેન ઓફ ધ મેચ પણ પસંદ થયો. કાનપુર ટેસ્ટમાં એજાઝ પટેલ કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ તેણે પોતાની ટીમની હાર ટાળવા માટે 22 બોલ રમ્યા હતા.

 

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝી પર સટ્ટાબાજી સાથે સંબંધને લઇને મુશ્કેલી વધી, BCCI એ કાનૂની મદદ માંગી

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં વિરાટ કોહલી માટે કોણ રહેશે બહાર, અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ

Published On - 9:08 pm, Mon, 29 November 21