ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ 2023 (Asia Cup 2023)ની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને બંને ટીમોએ એક-એક પોઈન્ટ વહેંચવો પડ્યો હતો. શનિવારે પલ્લેકેલેમાં રમાયેલી મેચમાં ભારતની ઈનિંગ બાદ મેચ ફરી શરૂ થઈ શકી ન હતી. મેચની શરૂઆત પહેલા વરસાદ (Rain) પડ્યો હતો અને ભારતીય ઈનિંગ્સ દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. ભારતીય દાવનો અંત આવતાની સાથે જ ફરીથી વરસાદ પડ્યો જે લાંબા સમય સુધી ચાલ્યો અને મેચ રમવા માટે સ્થિતિ યોગ્ય ન હોવાનું જોઈને અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો.
એશિયા કપ 2023માં હવે ભારતની આગામી મેચ સોમવારે નેપાળ સામે રમવાની છે. આ મેચમાં પણ બધાની નજર હવામાન પર ટકેલી છે. કારણકે આજે હવામાન વિભાગ દ્વારા મેચના દિવસે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારત માટે આગામી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પાકિસ્તાન સામેની પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાને એક પોઈન્ટ મળ્યો હતો.
AccuWeatherના રવિવારના અહેવાલ અનુસાર, સોમવારે સવારે પલ્લેકેલેમાં વરસાદની સંભાવના 60 ટકા સુધી છે, આવી સ્થિતિમાં, મેચ શરૂ થતાં પહેલા મેદાન ભીનું થઈ શકે છે.જ્યારે ટોસના સમયે વરસાદની સંભાવના 22 ટકા સુધી જણાવવામાં આવી છે. આ શક્યતા સાંજે 6 વાગ્યા સુધી છે. પરંતુ સાંજથી વરસાદની સંભાવના 66 ટકા છે એટલે કે પાકિસ્તાન સામેની મેચની જેમ આ મેચમાં પણ બીજા દાવ દરમિયાન વરસાદની સંભાવના વધારે છે. જો આમ થશે તો વરસાદના કારણે આ મેચ પણ રદ્દ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો : Breaking News: Heath streak Death: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું નિધન, પત્નીએ આપી માહિતી
ભારતીય ટીમ આ મેચ જીતીને સુપર-4માં પ્રવેશ કરવા ઈચ્છશે. જોકે, વરસાદ ટીમ ઈન્ડિયાની મેચ જીતવાની આશા બગાડી શકે છે. પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાએ વધારે ચિંતા કરવાની જરૂર નથી.જો ભારત અને નેપાળ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થાય છે અને બંને ટીમોને એક-એક પોઈન્ટ મળે છે, તો પણ ટીમ ઈન્ડિયા સુપર-4 માટે ક્વોલિફાય થઈ જશે. કારણ કે આવી સ્થિતિમાં ભારતને બે પોઈન્ટ મળશે અને નેપાળને માત્ર એક પોઈન્ટ હશે.પહેલી મેચમાં નેપાળને પાકિસ્તાને હરાવ્યું હતું.