ગુરુવારથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણી (India vs England, 1st T20 Match) દરમિયાન વર્લ્ડ કપ માટે ભારત પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનને ધ્યાને રાખીને એ જ ઈરાદા સાથે મેદાને ઉતરશે. કોવિડ-19 પોઝિટિવ મળવાને કારણે બર્મિંગહામમાં પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયેલા કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પ્રથમ મેચમાં રમે તેવી અપેક્ષા છે. વિરાટ કોહલી (Virat Kohli), જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને ઋષભ પંત સહિતના ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચથી ટીમ સાથે જોડાશે. તેમની ગેરહાજરીમાં, ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન જેવા ખેલાડીઓને પોતાને સાબિત કરવાની બીજી તક મળશે અને તેઓ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે સંભવિત તરીકે પોતાનો દાવો મજબૂત કરવા ઈચ્છશે. તેઓના માટેઆ મહત્વની તક સાબિત થઈ શકે છે.
ગાયકવાડ આયર્લેન્ડ સામેની બે મેચમાં નાની ઈજાને કારણે ઈશાન કિશન સાથે ઈનિંગ્સ ખોલી શક્યો ન હતો અને જો રોહિત વાપસી કરશે તો તેને ફરીથી બહાર બેસવું પડી શકે છે. કિશને તેને મળેલી તકોમાં પ્રભાવિત કર્યો છે અને મજબૂત ઇંગ્લેન્ડની ટીમ સામે સારી ઇનિંગ્સ રમીને ટીમના રિઝર્વ ઓપનર તરીકેનો પોતાનો દાવો મજબૂત કરવા માટે જોશે. કોહલી બીજી મેચથી ત્રીજા નંબરે બેટિંગ કરે તેવી અપેક્ષા છે અને આવી સ્થિતિમાં દીપક હુડ્ડા વધુ એક મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને પોતાની યોગ્યતા સાબિત કરવાનો પ્રયાસ કરશે. આયર્લેન્ડ સામે અણનમ 47 રન અને સદી સાથે હુડ્ડાએ ટીમ મેનેજમેન્ટને ચોક્કસપણે પ્રભાવિત કર્યું છે. રાહુલ ત્રિપાઠી અને અર્શદીપ સિંહ, જેઓ તેમના ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે, તેમને બીજી અને ત્રીજી T20I માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી અને તેમને પ્રથમ મેચમાં રમવાની તક મળવાની શક્યતા ઓછી છે.
ઈજા બાદ આયર્લેન્ડ સામે પુનરાગમન કરનાર સૂર્યકુમાર યાદવ માલાહાઈડમાં પોતાની ફોર્મ શોધી શક્યો નથી અને ઈંગ્લેન્ડ સામે કેટલીક સારી ઈનિંગ્સ રમવાની આશા રાખશે. તે અને હુડ્ડા ગયા અઠવાડિયે ડર્બીશાયર સામેની વોર્મ-અપ મેચમાં સારું રમ્યા હતા. ફાસ્ટ બોલર ઉમરાન મલિક આયર્લેન્ડ સામે મોટા સ્કોરવાળી બીજી T20Iમાં છેલ્લી ઓવરમાં 17 રનનો બચાવ કર્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. જો કે, તેણે તેની બોલિંગ વધુ સચોટ બનાવવાની જરૂર છે. અનુભવી ભુવનેશ્વર કુમાર અને હર્ષલ પટેલની સામે આયર્લેન્ડના બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને રોકવા માટે તેઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. રવિ બિશ્નોઈની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાની આશા છે.
ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ભારતે લગભગ 15 T20 મેચ રમવાની છે. વર્તમાન શ્રેણીમાં ત્રણ મેચો સિવાય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 29 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી પાંચ મેચ અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એશિયા કપમાં લગભગ પાંચ મેચ રમશે. સપ્ટેમ્બરમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી20 મેચ પણ રમવાની છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી સાથે, ભારત પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે તેમની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
ઈંગ્લેન્ડ માટે આ સિરીઝ જોસ બટલરના યુગની શરૂઆત હશે, જેને ઈયોન મોર્ગનની નિવૃત્તિ બાદ ODI-T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બેન સ્ટોક્સ અને ભારત સામેની પાંચમી ટેસ્ટના હીરો જોની બેયરિસ્ટોને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. જોકે ઈંગ્લેન્ડ પાસે વિપક્ષના બોલિંગ આક્રમણને નષ્ટ કરવા સક્ષમ બેટ્સમેન છે. બટલર અને લિયામ લિવિંગ્સ્ટન ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન શાનદાર ફોર્મમાં હતા અને તે જ ફોર્મ ચાલુ રાખવા ઈચ્છે છે.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.
ઈંગ્લેન્ડની ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરાન, રિચાર્ડ ગ્લેસન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઈમલ મિલ્સ, મેથ્યુ પાર્કિન્સન, જેસન રોય, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, ડેવિડ વિલી.