મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત પાસે 8 દિવસમાં બીજી વખત પાકિસ્તાનને હરાવવાનો મોકો છે. ચોંકી ના જશો. આ હારનો નિર્ણય બંને વચ્ચેની મેચથી નહીં થાય. ટીમ ઈન્ડિયા સોમવારે આયર્લેન્ડ સામે તેની છેલ્લી લીગ મેચ રમવા જઈ રહી છે. અને આ મેચમાં જીત તેને સેમિફાઇનલમાં પ્રવેશ આપશે. બીજી તરફ ભારતની જીત, પાકિસ્તાનના બોરિયા બિસ્તરા બાંધી દેશે. ભારતની જીતથી પાકિસ્તાનનું સપનું તૂટી જશે.
આખરે ભારતની જીત પાકિસ્તાનને કેવી રીતે મોટો આંચકો આપશે. ચાલો તમને જણાવીએ કે, ભારતની જીત પાકિસ્તાન માટે કેવી રીતે મુશ્કેલી સર્જે છે.
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રણમાંથી બે મેચ જીતી છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ ત્રણમાંથી માત્ર એક મેચ જીતી શકી છે. હવે જો ટીમ ઈન્ડિયા છેલ્લી લીગ મેચ જીતશે તો તે સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. બીજી તરફ પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચ જીતે તો પણ તે બહાર થઈ જશે. જો કે તેની શક્યતા પણ ઓછી છે કારણ કે, પાકિસ્તાને ઇંગ્લેન્ડ સાથે છેલ્લી મેચ રમવાની છે.
ભારતીય ટીમ માટે સેમિફાઇનલની ટિકિટ પાક્કી કરવી સરળ લાગી રહી છે. ભારતીય ટીમને આયરલેન્ડ સામે ટક્કર આપવાની છે, જેણે આ ટુર્નામેન્ટમાં પોતાની ત્રણેય મેચ હારી છે. આ ટીમ ઈંગ્લેન્ડ સામે ચાર વિકેટે હારી ગઈ હતી. પાકિસ્તાને આયર્લેન્ડને 70 રનથી હરાવ્યું અને વેસ્ટ ઈન્ડિઝે પણ 6 વિકેટે મેચ જીતી લીધી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની જીતની શક્યતાઓ વધુ છે.
તમને જણાવી દઈએ કે, ભારત અને ઈંગ્લેન્ડની ટીમો ગ્રુપ બીમાંથી સેમીફાઈનલમાં જવાની મોટી દાવેદાર છે. ઈંગ્લેન્ડની ટીમ ત્રણમાંથી ત્રણ મેચ જીતીને ક્વોલિફાય થઈ ચૂકી છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ છે. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ પહેલેથી જ રેસમાંથી બહાર છે. જો ભારતીય ટીમ મેચ હારી જાય છે અને પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડને હરાવે છે, તો તે પછી બંને ટીમોની 2-2થી જીત થશે અને પછી બીજી સેમીફાઈનલ ટીમ નેટ રનરેટના આધારે નક્કી કરવામાં આવશે.