ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે ઘર આંગણે T20 સિરીઝ રમાઇ રહી છે. ભારતે લખનૌમાં રમાયેલી પ્રથમ ટી20 મેચ જીતીને સિરીઝમાં 1-0 ની સરસાઇ મેળવી છે, આજે સિરીઝમાં અજેય થવાના ઇરાદા સાથે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરી છે. બીજી મેચ ધર્મશાળામાં રમાઇ રહી છે, જ્યાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. શ્રીલંકન ઓપનર પથુમ નિશંકા (Pathum Nissanka) અને દાનુષ્ક ગુણથિલકાએ સારી શરુઆત કરી હતી. નિશંકાએ ઝડપી રમત સાથે અર્ધશતકીય ઇનીંગ રમી હતી. શ્રીલંકાએ 5 વિકેટ ગુમાવીને 183 રનનો સ્કોર ખડક્યો હતો.
ભારતીય બોલરોને શરુઆતમાં વિકેટ મેળવવી મુશ્કેલ થઇ રહી હતી.જેની સામે હરીફ ટીમના ઓપનરોએ 67 રનની ભાગીદારી રમત રમી હતી. પથુમ નિશંકા એ દાનુષ્ક ગુણથિલકા (38 રન 29 બોલ) સાથે મળીને આ ભાગીદારી રમત રમી હતી. જોકે દાનુષ્કે વિકેટ ગુમાવ્યા બાદ ચરિત અસલંકા અને કામિલ મિશારા (1) પણ ઝડપથી પેવેલિયન પરત ફરતા ભારતીય બોલરોને રાહત થઇ હતી. દિનેશ ચાંદિમલ (9) પણ ઝડપથી વિકેટ ગુમાવી બેઠો હતો.
જોકે કેપ્ટન દાસુન શનાકાએ અંતિમ ઓવરોમાં ઓપનર નિશંકા સાથે મળીને આક્રમકતા અપનાવી હતી. પરંતુ નિશંકા અંતમાં 19 મી ઓવરના છેલ્લા બોલે આઉટ થયો હતો. શનાકાએ જબરદસ્ત આક્રમક રમત રમી હતી તેણે 19 બોલમાં 47 રન ફટકાર્યા હતા. જેમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની આ તોફાની રમતને લઇ અંતિમ 4 ઓવરમાં 72 રન ફટકાર્યા હતા.
ભારતીય બોલરોને શરુઆતમાં વિકેટ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. આમ છતાં પણ બોલરોએ ભારતને મેચમાં જાળવી રાખવા શક્ય તમામ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ જોકે ડેથ ઓવરમાં ભારતીય બોલરો પર હરીફ કેપ્ટન ની રમત ભારે પડી ગઇ હતી. હર્ષલ પટેલે 13 ની એવરેજ થી રન ગુમાવ્યા હતા. તેણે તેના સ્પેલમાં 52 રન આપ્યા હતા, જેમાં 4 છગ્ગા પણ આપ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને ભૂવનેશ્વર કુમારે 9 કે તેથી વધુની એવરેજ થી રન આપ્યા હતા. જાડેજાએ 2 છગ્ગા ગુમાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ 4 ઓવરમાં 27 રન અને જસપ્રીત બુમરાહે 24 રન ગુમાવ્યા હતા. ભૂવનેશ્વર, બુમરાહ, હર્ષલ, ચહલ અને જાડેજાએ એક એક વિકેટ ઝડપી હતી.
Published On - 8:40 pm, Sat, 26 February 22