ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાનો 7 વિકેટે પરાજય થયો હતો. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં ભારતે (Indian Cricket Team) 211 રન બનાવ્યા હતા અને તેમ છતાં ટીમ જીતી શકી નહોતી. આ મેચ બાદ બે મુદ્દાઓ પર ઘણી ચર્ચા થઈ હતી. એક, ટીમ ઈન્ડિયાની બોલિંગ. બીજું, ઋષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશીપ. આ બંનેને હારનું કારણ માનવામાં આવતું હતું. સતત બે સિઝન સુધી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી રહેલા પંતના નિર્ણયોની ઘણી ટીકા થઈ રહી છે, પરંતુ ટીમ ઈન્ડિયાના સિનિયર બોલર ભુવનેશ્વર કુમાર તેને યોગ્ય નથી માનતો. ભુવનેશ્વરે કેપ્ટન પંતનો બચાવ કરતા કહ્યું છે કે ટીમના બોલરોએ તેમના કેપ્ટનને નિરાશ કર્યા છે.
બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ રવિવાર 12 જૂને કટકમાં રમાવાની છે. આ મેચ પહેલા ભારતના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે શનિવારે 11 જૂને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રથમ ટી20 મેચમાં બોલરોએ કેપ્ટન ઋષભ પંતને નિરાશ કર્યો હતો. પંત પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. કેએલ રાહુલની ઈજાના કારણે તેને સીરિઝ શરૂ થવાના એક દિવસ પહેલા ટીમની કમાન સોંપવામાં આવી હતી.
આ શ્રેણીમાં, ભારતીય ટીમના સૌથી વરિષ્ઠ સભ્ય અને અગ્રણી ફાસ્ટ બોલર ભુવનેશ્વરે બીજી T20 પહેલા દિલ્હીમાં રમાયેલી મેચમાં તેની કેપ્ટનશીપ અંગે જે ટીકાઓ થઈ રહી હતી તેના પર પંતનો બચાવ કર્યો. ભુવનેશ્વરે કહ્યું, તે યુવા કેપ્ટન છે અને આ તેની પ્રથમ મેચ હતી. મને ખાતરી છે કે તે ભવિષ્યમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરશે. કેપ્ટન ત્યારે જ સારું કરી શકે છે જ્યારે ટીમ સારું કરે.
ટીમ ઈન્ડિયાના બોલિંગ આક્રમણની આગેવાની કરી રહેલા ભુવનેશ્વર કુમારે પોતાના સહિત સમગ્ર બોલિંગ યુનિટને મેચમાં હારનું કારણ માન્યું. તેણે કહ્યુ હતુ, અમારા બોલરો સારો દેખાવ કરી શક્યા ન હતા અને અમે તેમને નિરાશ કર્યા હતા. જો અમે સારું પ્રદર્શન કર્યું હોત, તો તમે તેની નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા કરી હોત. મને ખાતરી છે કે તે સારું પ્રદર્શન કરશે. દરેક વ્યક્તિનો દિવસ ખરાબ હોઈ શકે છે. બોલિંગ યુનિટ તરીકે અમારા માટે તે ખરાબ દિવસ હતો અને તેવુ થતુ હોય છે. અમે આગામી મેચમાં વાપસી કરીશું.
ભુવીએ એવી પણ આશા વ્યક્ત કરી કે ટીમ બીજી મેચમાં જોરદાર વાપસી કરશે. તેણે કહ્યું કે હજુ 4 મેચ બાકી છે અને સિરીઝ જીતી શકાય છે. ભારતીય પેસરે એમ પણ કહ્યું કે, તે સિરીઝની પ્રથમ મેચ હતી અને દરેક જણ IPL માંથી પરત ફર્યા હતા. IPL માં દરેકનું પ્રદર્શન સારું હતું અને દરેકને ખબર છે કે સારું પ્રદર્શન કરવા શું કરવું જોઈએ.
Published On - 10:28 pm, Sat, 11 June 22