IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો બચાવ કર્યો છે. પૂજારાના સ્ટ્રાઈક રેટના સવાલ પર તેમણે કહ્યું કે, આ ભારતીય બેટ્સમેનને એકલો છોડી દેવો જોઈએ. કારણ કે કોઈની રમતમાં ખામી પોતે જ નક્કી કરવી જોઈએ, આ ટીકાકારોનું કામ નથી. ભારતની વર્તમાન ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) રન બનાવવાના મામલે વિરાટ કોહલી પછી બીજા ક્રમે છે. તેણે 86 મેચમાં 6267 રન બનાવ્યા છે. પરંતુ હાલના સમયમાં તેની વધુ પડીતી રક્ષણાત્મક રમતની ઘણી ટીકા થઈ રહી છે. આ કારણે તેમના પર ઘણું દબાણ પણ વધ્યું છે.
ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC Final) માં હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તે જરૂરિયાત મુજબ ટીમમાં ફેરફાર કરશે. આ પછી એવું માનવામાં આવતું હતું કે, પૂજારાનુ ટીમમાં સ્થાન હવે જોખમમાં છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆતના એક દિવસ પહેલા, કોહલીએ પૂજારાનો બચાવ કર્યો હતો. પરંતુ સાથે સાથે આ શરત લાગુ કરતા પણ જોવા મળ્યો હતો. તેણે કહ્યું, ઘણાં લાંબા સમયથી ચાલી રહ્યું છે, અને પ્રામાણિકપણે મને લાગે છે કે તેના જેવી ક્ષમતા અને અનુભવ ધરાવતા ખેલાડીને એકલો છોડી દેવો જોઈએ. તેની પોતાની રમતમાં ખામીઓ શોધવાનું કાર્ય સંપૂર્ણપણે પોતાનું કામ છે.
કેપ્ટને કહ્યું કે આ તબક્કે ખેલાડીઓને તેમની જવાબદારીનો અહેસાસ થાય છે. બિનજરૂરી ટીકા તેમને પરેશાન કરતી નથી, પૂજારાને સહેજેય તેની પરવા નથી. કોહલીએ કહ્યું, એ જ રીતે, હું અથવા અન્ય કોઈ ખેલાડી સંપૂર્ણ રીતે વાકેફ છીએ કે, આપણે ટીમના સારા માટે શું કરવાનું છે. હું જાણું છું કે પુજારા ટીકાની પરવા કરતા નથી. લોકો જે ચાહે તે કહી શકે છે. પરંતુ આખરે તે હોય છે તો શબ્દો જ ને, જો તમને લાગે છે કે તેનો તમારા માટે કોઇ મતલબ નથી, તો તમે આગળ વધો છો અને તમારા રસ્તે ચાલતા રહો છો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ પુજારાની સ્ટ્રાઇક રેટની બાબતે ચર્ચા ફરી એકવાર ગરમ થઇ છે. આ પ્રવાસ પર તેણે ખૂબ જ ધીમી બેટીંગ કરી હતી. જોકે તેના પ્રકારે ભારતના લોકોનુ દીલ જીતી લેવામાં મદદ કરી હતી. તેના બાદ ઇંગ્લેંન્ડ સામે ઘરેલુ સિરીઝમાં પુજારાની ધીમી બેટીંગે સૌનુ ધ્યાન ખેચ્યુ હતુ. ત્યારે અનેક લોકો એ કહ્યુ હતુ કે, જરુર કરતા ધીમી રમત રમી ને પુજારા પોતાને ટીમને મુશ્કેલીમાં નાંખી દે છે.