IND vs ENG: વિરાટ કોહલીએ કહ્યું બાયોબબલને કારણે ખેલાડીઓ થાકી જાય છે, બ્રેક વિના ગુણવત્તા જાળવવી મુશ્કેલ

કેપ્ટન કોહલીએ બાયો-બબલના જીવનને મુશ્કેલ ગણાવ્યું હતું. કોહલીએ કહ્યું હતુ કે અન્ય ક્રિકેટરો બેન સ્ટોક્સ જેવો રસ્તો અપનાવવાનું શરૂ કરવાને વધારે સમય નહીં લાગે.

IND vs ENG: વિરાટ કોહલીએ કહ્યું બાયોબબલને કારણે ખેલાડીઓ થાકી જાય છે, બ્રેક વિના ગુણવત્તા જાળવવી મુશ્કેલ
Virat Kohli
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:57 PM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)એ કોરોના સમયગાળા દરમ્યાન ખેલાડીઓના આરામ માટે હિમાયત કરી છે. તેનું માનવું છે કે જો ખેલાડીઓ કોવિડ-19 મહામારી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મુશ્કેલ બાયો-બબલ જીવનમાંથી સમયાંતરે વિરામ લેતા નથી તો ટૂંકાગાળામાં એક એવો સમય આવી શકે છે, જ્યારે તણાવને કારણે ગુણવત્તા ભર્યો કોઈ ક્રિકેટર નહીં બચે. તેણે આ વાત ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) માનસિક સ્વાસ્થ્યને કારણે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ખસી ગયા બાદ કહી છે.

 

 

કેપ્ટન કોહલીએ બાયો-બબલના જીવનને મુશ્કેલ ગણાવ્યું હતું. કોહલીએ કહ્યું હતુ કે અન્ય ક્રિકેટરો બેન સ્ટોક્સ જેવો રસ્તો અપનાવવાનું શરૂ કરવાને વધારે સમય નહીં લાગે. કોહલીએ બુધવારે ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રારંભિક ટેસ્ટની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે મારી જાતને તાજગી આપી પરત ફરવા માટે પણ આ વિરામ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

 

ટીમનું નેતૃત્વ કરવું અને ટીમની જવાબદારી લેવી તે તણાવપૂર્ણ બની શકે છે. ઉપરાંત, જો તમે લાંબા સમય સુધી બબલની અંદર છો તો બાબત વધુ મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં સમયાંતરે વિરામ લેવો જરૂરી છે. ભારતીય કેપ્ટન ઈચ્છે છે કે આ રમતનું મેનેજમેન્ટ કરનારા આ મુદ્દે ધ્યાન આપે. જેથી બબલ ના થાકને કારણે ક્રિકેટનું સ્તર પ્રભાવિત ના થાય.

 

તેણે કહ્યું કે જો તમારી પાસે રમવા માટે ખેલાડીઓ નહીં રહે તો ક્રિકેટની ગુણવત્તા જાળવવી મુશ્કેલ બની જશે. જેમ તેણે (સ્ટોક્સે) વિરામ લીધો છે, ભવિષ્યમાં વધુ ખેલાડીઓ પણ આવું કરી શકે છે. ખેલાડીઓ અમુક તબક્કે બાયો-બબલના જીવનથી કંટાળી શકે છે.

 

કોહલીએ કહ્યું-બબલમાં રહેવું ખૂબ જ મુશ્કેલ છે

ભારતીય ટીમે (Team India) ઈંગ્લેન્ડ પ્રવાસ પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ 20 દિવસનો વિરામ લીધો હતો. આ બ્રેક બાદ તમામ ખેલાડીઓ ગયા મહિને ફરી શ્રેણી માટે એક સાથે થયા છે. આ પછી તેમણે ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ પણ રમી હતી.

 

કોહલીએ કહ્યું કેપ્ટનના રૂપમાં હું કહી શકું છું કે મન હંમેશા ચાલુ રહે છે. તમે દરરોજ ટીમના આયોજનની આદત ધરાવતા થઈ જાઓ છો. તમને સ્વિચ ઓફ કરવા માટે ખૂબ ઓછો સમય મળે છે. જે મુજબ વિરામ જરૂરી છે, અમે છેલ્લા એક વર્ષથી બબલ્સમાં રમી રહ્યા છીએ અને તે આસાન નથી.

કોહલીએ ઓલિમ્પિક રમતવીરોને અભિનંદન આપ્યા

કોહલીએ આ પ્રસંગે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (સિલ્વર મેડલ) અને પીવી સિંધુ (બ્રોન્ઝ મેડલ) ભારત માટે મેડલ જીત્યા હતા. જ્યારે લવલીના બોરગોહેનને બોક્સિંગમાં મેડલ પાકો છે. કોહલીએ કહ્યું જ્યારે અમે ડરહમમાં હતા, અમે બધા ઓલિમ્પિક જોઈ રહ્યા હતા. અમે નાસ્તાના સ્થાને મોટા પડદા અને ટીવી પર તેનો આનંદ માણતા હતા. જ્યારે તેઓ (ભારતીય ખેલાડીઓ) સારું કરી રહ્યા હતા, ત્યારે અમે બધા ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા.

 

આ પણ વાંચો: IND vs ENG: હાર્દિક પંડ્યાનુ સ્થાન ભરવાને લઇ રહાણેએ કહ્યુ શાર્દુલ ઠાકુર ટીમમાં ભરી શકવા યોગ્ય હોવાનો આપ્યો સંકેત

આ પણ વાંચો: Cricket: યુવા ક્રિકેટરોના હિત માટે નવી ટૂર્નામેન્ટ શરુ કરવાની તૈયારીઓ કરી રહ્યુ છે BCCI, યુવાનોને મળશે વધુ તક

Published On - 11:41 pm, Tue, 3 August 21