
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. નોટિંગહામમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા (Team India) નો કેપ્ટન ખાતું ખોલ્યા વગર જ પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને (James Anderson) તેની વિકેટ લીધી હતી. આ સાથે વિરાટ કોહલીના નામે એક ખરાબ રેકોર્ડ બન્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત ‘શૂન્ય’ પર આઉટ થનાર ભારતીય કેપ્ટન બન્યો છે. તેણે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને પાછળ છોડી દીધો છે.
ભારત-ઈંગ્લેન્ડ (India vs England) ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા જ, વિરાટ કોહલી અને જેમ્સ એન્ડરસન વચ્ચેની પ્રતિસ્પર્ધાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને સ્કાય ક્રિકેટે બંનેની ટક્કરને ઘણી હવા આપી હતી. આવી સ્થિતિમાં એન્ડરસને પ્રથમ બાજી મારી લીધી છે. આગામી મેચોમાં ભારતીય કેપ્ટન આ બોલરનો કેવી રીતે સામનો કરે છે, તે જોવાનું રહ્યું.
જેમ્સ એન્ડરસને વિરાટ કોહલીને જોસ બટલર દ્વારા વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. આ બોલ ઓફ-સ્ટમ્પની બહાર પડ્યો હતો, જે કોહલીની નબળાઈ છે. આના પર, ભારતીય કેપ્ટને ઇન સ્વિંગ બોલ મુજબ બેટ ચલાવ્યું હતુ. પરંતુ બોલ બહાર આવ્યો અને બેટને સ્પર્શ કરીને જોસ બટલરના ગ્લોવ્સમાં સમાઇ ગયો. આ સાથે, ઇંગ્લિશ કેમ્પમાં આનંદ છવાઇ ગયો હતો. તો કોહલીના આઉટ થવાથી ભારતીય પક્ષમાં નિરાશા ફેલાઈ ગઇ હતી.
કોહલી ટેસ્ટ ક્રિકેટમાં નવમી વખત શૂન્ય પર આઉટ થયો છે. તેણે ધોનીને પાછળ છોડી દીધો છે. ધોની ટેસ્ટ કારકિર્દીમાં કેપ્ટન તરીકે આઠ વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. તો વળી આ પહેલા, મન્સૂર અલી ખાન પટૌડી તેની કારકિર્દીમાં કેપ્ટન હતા, ત્યારે સાત વખત શૂન્ય પર આઉટ થયા હતા.
જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવમી વખત વિરાટ કોહલીને આઉટ કર્યો છે. એન્ડરસનનો સૌથી વધુ શિકાર બનવાની બાબતમાં કોહલી સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. તેના સિવાય ગૌતમ ગંભીર પણ નવ વખત એન્ડરસનનો શિકાર બન્યો હતો. તે જ સમયે, ઇંગ્લિશ બોલરે સૌથી વધુ 12 વખત સચિન તેંડુલકરને આઉટ કર્યો હતો. આ પછી ધોનીનું નામ છે, જેને એન્ડરસને 10 વખત આઉટ કર્યો હતો.
Published On - 11:27 pm, Thu, 5 August 21