
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે રમાશે. લોર્ડ્સ ટેસ્ટમાં 22 રનથી હાર બાદ, ભારતીય ટીમ શ્રેણીમાં વાપસી પર નજર રાખશે. આ મેચ પહેલા, એક દિગ્ગજ ભારતીય ખેલાડીને ઈંગ્લેન્ડમાં એક મોટું સન્માન પણ મળશે. ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પરના એક સ્ટેન્ડને આ દિગ્ગજના નામ પર રાખવામાં આવશે. સ્ટેન્ડ-નામકરણ સમારોહ ટેસ્ટ મેચના પહેલા દિવસે યોજાઈ શકે છે.
માન્ચેસ્ટરમાં ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર ફારુક એન્જિનિયરનું વિશેષ સન્માન થશે. તેમની ભૂતપૂર્વ કાઉન્ટી ટીમ લેન્કેશાયર દ્વારા ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે તેમના નામ પર એક સ્ટેન્ડ રાખવામાં આવશે. ફારુક એન્જિનિયર ઉપરાંત, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્લાઈવ લોયડને પણ આ સન્માન મળશે. સૂત્રોએ PTIને જણાવ્યું હતું કે સ્ટેન્ડ-નામકરણ સમારોહ 23 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચના પહેલા દિવસે યોજાઈ શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, ‘ક્લબના બંને દિગ્ગજો માટે આ યોગ્ય સન્માન છે.’
Happy birthday to Lancashire and India legend, Faroukh Engineer!
#RedRoseTogether pic.twitter.com/O3arsbqsTu
— Lancashire Cricket (@lancscricket) February 25, 2024
ફારુક એન્જિનિયર લગભગ એક દાયકા સુધી લેન્કેશાયર માટે રમ્યા. એન્જિનિયરે 1968 થી 1976 દરમિયાન 175 મેચોમાં લેન્કેશાયર માટે 5942 રન બનાવ્યા. તેમણે વિકેટકીપર તરીકે 429 કેચ અને 35 સ્ટમ્પિંગ કર્યા. જ્યારે ફારુક એન્જિનિયરે લેન્કેશાયર માટે ડેબ્યૂ કર્યું હતું, ત્યારે ક્લબ પાસે 15 વર્ષથી વધુ સમય સુધી કોઈ મોટો ખિતાબ નહોતો, પરંતુ તેમણે 1970 થી 1975 દરમિયાન ચાર વખત જીલેટ કપ જીતવામાં મદદ કરી હતી. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન લોયડ બે દાયકા સુધી ક્લબ સાથે રહ્યા અને ક્લબમાં ખાસ યોગદાન આપ્યું.
ફારુક એન્જિનિયરની ગણતરી ભારતના સૌથી સફળ વિકેટકીપરમાં થાય છે. તેમણે 1961માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું અને 1975 સુધી રમ્યા હતા. ફારુક એન્જિનિયર ભારત માટે કુલ 46 ટેસ્ટ અને 5 વનડે રમ્યા હતા. ટેસ્ટમાં તેમણે 31.08ની સરેરાશથી 2611 રન બનાવ્યા હતા અને વનડેમાં તેમના નામે 114 રન છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન કુલ 69 કેચ લીધા હતા અને 17 સ્ટમ્પિંગ કર્યા હતા.
આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર, આ ખેલાડીનું માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવાનું થયું કન્ફર્મ