ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરુ થનારી છે. આ માટે બંને ટીમો લંડન પહોંચી ચુકી છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ વરસાદને લઈને અનિર્ણીત રહી હતી. પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન ભારતના સિનિયર બોલર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)ને બહાર રહેવુ પડ્યુ હતુ.
હવે બીજી ટેસ્ટ મેચ દરમ્યાન પણ અશ્વિન માટે આવી જ સ્થિતી હોઈ શકે છે. આ માટે પહેલા રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સાથે કોમ્પિટીશન હોવાનું માનવામાં આવતુ હતુ. પરંતુ હવે જાડેજા કરતા શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) વધારે હરીફાઈ અશ્વિનને આપી રહ્યો છે.
ભારતીય ટીમે (Team India) પ્રથમ ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતી સર્જી હતી. જોકે આ દરમ્યાન ભારતીય બોલરોએ કમાલની બોલીંગ કરી હતી. ખાસ કરીને ઝડપી બોલરોએ ઈંગ્લેન્ડ ટીમની બંને ઈનીંગની તમામ વિકેટો ઝડપી હતી. આવી સ્થિતીમાં સ્પિનરોની હાલત સ્વાભાવિક મુશ્કેલ નિવડી શકે છે. રવિન્દ્ર જાડેજા પણ બંને ઈનીંગ દરમ્યાન એકેય વિકેટ મેળવી શક્યો નહોતો.
આમ આવી સ્થિતીમાં અશ્વિનની બોલીંગની સફળતાથી લઈને તેનું ટીમમાં સ્થાનને લઈને અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. આર અશ્વિન ભારતીય ટીમ માટે વર્તમાન વર્ષોમાં સફળ સ્પિનર તરીકે રહ્યો છે. તેણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં જબરદસ્ત બોલીંગ કરી હતી. આમ છતાં પણ તે નોટિંગહામ ટેસ્ટમાં પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો નહોતો. તેને બહાર રાખવાને લઈને ટીકાઓનો વરસાદ પણ ટીમ મેનેજમેન્ટ પર ખૂબ થયો છે.
હવે આ અંગે દિપ દાસગુપ્તા (Deep Dasgupta)એ અશ્વિનને લઈને પોતાનો મત રજૂ કર્યો છે. દાસગુપ્તાનું કહેવુ છે કે અશ્વિન માટે રવિન્દ્ર જાડેજા સાથે કોઈ સ્પર્ધા નથી. તેની અસલી સ્પર્ધા શાર્દૂલ ઠાકુર સાથે છે. તેણે કહ્યું અનેક લોકો સવાલો કરી રહ્યા છે કે જાડેજા અને અશ્વિન વચ્ચે સ્પર્ધા છે. આ ખૂબ જ ટેકનીકલ ડીસીઝન છે, જે ઈન્ડીયન ટીમે લેવાની જરુર છે.
જ્યારે વીવીએસ લક્ષ્મણે કહ્યું હતુ કે તે હંમેશા પોતાની પ્લેઈંગ ઈલેવનમાં રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપશે. કારણ કે તે એટેકીંગ ઓપ્શન છે. તેણે કહ્યું વરસાદની સંભાવના વચ્ચે પણ હું તેને ટીમમાં રાખતો. તે એક મેચ વિનર પ્લેયર છે અને ખૂબ પ્રભાવ સર્જે છે. વાસીમ જાફર અને માઈકલ વોન જેવા ખેલાડીઓને પણ અશ્વિનની ગેરહાજરી ખૂંચી હતી.