
આજે IPL 2022 ની 50 મેચ પૂર્ણ થઈ રહી છે અને આ 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Delhi Capitals vs Sunrisers Hyderabad) આમને-સામને છે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે અને હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસ (Kane Williamson) ને ફરી એકવાર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ માટે બંને ટીમોએ ઘણા ફેરફાર કર્યા છે. હૈદરાબાદે પ્લેઇંગ ઇલેવનમાં 3 ફેરફાર કર્યા છે, જ્યારે દિલ્હીએ પૃથ્વી શો અને અક્ષર પટેલ સહિત ચાર ખેલાડીઓમાં ફેરફાર કર્યા છે.
અગાઉની મેચોમાં બંને ટીમોને હારનો સામનો કરવો પડ્યો હતો અને આવી સ્થિતિમાં આ મેચમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો. દિલ્હી અને હૈદરાબાદે મળીને અગાઉની પ્લેઈંગ ઈલેવનમાંથી 7 ખેલાડીઓને બહાર કર્યા હતા. હૈદરાબાદની વાત કરીએ તો છેલ્લી બે મેચમાં ખરાબ રીતે નિષ્ફળ ગયેલા માર્કો યાનસનને બહાર કરવામાં આવ્યો છે, જ્યારે વોશિંગ્ટન સુંદર અને ટી નટરાજનને ઈજાના કારણે આરામ આપવામાં આવ્યો છે. આ ત્રણના સ્થાને લેગ સ્પિનર શ્રેયસ ગોપાલ, ઝડપી બોલર શોન એબોટ અને યુવા ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેય આ સિઝનમાં SRHનો હિસ્સો બન્યા હતા અને પ્રથમ વખત મેદાનમાં ઉતરી રહ્યા છે.
જો દિલ્હીની વાત કરીએ તો ટીમને મોટો ઝટકો લાગ્યો છે. રિષભ પંતે ટીમમાં 4 ફેરફાર કર્યા છે અને તેમાંથી બે ઈજાના કારણે બહાર થઈ ગયા છે. ધાકડ ઓપનર પૃથ્વી શો અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ ફિટનેસના મુદ્દાને કારણે મેચમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે ચેતન સાકરિયા અને મુસ્તાફિઝુર રહેમાનને પ્રદર્શનના આધારે બહાર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તોફાની બોલિંગ કરનાર એનરિક નોરખિયા અને ખલીલ અહેમદની વાપસી થઈ છે. IPL 2022 માં નોરખિયાની આ માત્ર બીજી મેચ છે. તે ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, જ્યારે ખલીલ અહેમદ પણ હેમસ્ટ્રિંગની ઈજામાંથી પુનરાગમન કરી રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, શોન એબોટ, ઉમરાન મલિક
દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), મનદીપ સિંહ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, લલિત યાદવ, રોવમેન પોવેલ, રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોરખિયા
Published On - 7:21 pm, Thu, 5 May 22