
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો. આ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કુલ બે ફેરફારો જોવા મળ્યા.
ટીમ ઇન્ડિયાને આ મેચમાં મોટો ઝટકો લાગ્યો છે. T20 વાઇસ-કેપ્ટન અક્ષર પટેલ ઈજાને કારણે મેચમાં રમવા અસમર્થ રહ્યા. પહેલી T20 મેચ દરમિયાન બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે તેમની ડાબી હાથની તર્જની આંગળીમાં ઇજા થઈ હતી, જેના કારણે તેમને મેદાન છોડવું પડ્યું હતું. બીજી તરફ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવ્યો છે.
અક્ષર પટેલની જગ્યાએ યુવા ઝડપી બોલર હર્ષિત રાણાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. હર્ષિત રાણા પોતાની ઝડપી બોલિંગ ઉપરાંત ઉપયોગી બેટિંગ માટે પણ જાણીતા છે. તાજેતરની ODI શ્રેણીમાં તેણે અડધી સદી ફટકારીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. ઉપરાંત, સ્પિન બોલર કુલદીપ યાદવે પણ પોતાની જગ્યાને યથાવત રાખવામાં સફળતા મેળવી છે.
આ મેચ માટે ભારતની પ્લેઇંગ 11માં અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ ટીમે પણ બીજી T20 મેચ માટે સંતુલિત ટીમ ઉતારી છે. તેમની પ્લેઇંગ 11માં ડેવોન કોનવે, ટિમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર, જેક્લિન ફોક્સ, મેટ હેનરી, ઇશ સોઢી અને જેકબ ડફીનો સમાવેશ થાય છે.
જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દાયકો કેવી રીતે વિતાવ્યો, જાણો