
બાંગ્લાદેશ ક્રિકેટ છેલ્લા કેટલાક સમયથી ખોટા કારણોસર સમાચારમાં છે. T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ, દેશના સાત ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાત બાંગ્લાદેશી ખેલાડીઓ મેચ ફિક્સિંગના દોષી સાબિત થયા છે.
આ ઘટના CJKS ટેલેન્ટ કપ 2026 દરમિયાન બની હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન સાત ખેલાડીઓ જાણી જોઈને આઉટ થતા જોવા મળ્યા હતા. આ ખેલાડીઓમાં સાકિબ હુસૈન, ઓબૈદુલ આલમ, ઓમર ફારુક, ટીન ધર, માહિર અનવર, મોહમ્મદ ઈકબાલ અને નઝમુલ ઈસ્લામનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ મેચ દરમિયાન વિચિત્ર રીતે આઉટ થઈ રહ્યા હતા, જેના કારણે તપાસ શરૂ થઈ છે અને હવે તેઓ મેચ ફિક્સિંગના દોષી સાબિત થયા છે.
આ સાત ખેલાડીઓ ઉપરાંત, કોચ અમીનુલ હક પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અમીનુલ હક સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં સમાપ્ત થયેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ સીઝન પછી, એવું બહાર આવ્યું હતું કે BCB (રાજશાહી ડિવિઝન) ના ડિરેક્ટર મુખલેસુર રહેમાન શમીમ પણ મેચ ફિક્સિંગ સંબંધિત ચર્ચાઓમાં સામેલ હતા. એક પત્રકારના ખુલાસામાં શમીમ સિલહટની એક હોટલમાં મેચ ફિક્સરો સાથે બેઠક કરી રહ્યા હતા. નોઆખલી એક્સપ્રેસ ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા બે વ્યક્તિઓ પણ મેચ ફિક્સિંગ કૌભાંડમાં ફસાયેલા હતા.
મંગળવારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં પણ મોટો ફેરફાર થયો. બાંગ્લાદેશ સરકારે ભૂતપૂર્વ કેપ્ટન અને BCBના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલને તેના પદ પરથી હટાવી દીધો. તમીમ ઈકબાલને હવે BCBના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. BCBના સૂત્રોના જણાવ્યા અનુસાર, T20 વર્લ્ડ કપને લગતા વિવાદને કારણે અમીનુલને હટાવવામાં આવ્યો હતો. તેના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ ક્વોલિફાય થવા છતાં T20 વર્લ્ડ કપમાં રમવામાં નિષ્ફળ ગયું. BCBએ પોતાની ટીમ ભારતમાં મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતના સમર્થક ગણાતા તમીમ ઈકબાલને હવે BCBના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેણે ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવાના નિર્ણયની ટીકા કરી હતી.